ચોરી પકડાઈ જતાં પ્રભાદેવીમાં ઘરનોકરે છઠ્ઠા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા

12 November, 2012 05:20 AM IST  | 

ચોરી પકડાઈ જતાં પ્રભાદેવીમાં ઘરનોકરે છઠ્ઠા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા



મધ્ય પ્રદેશનો વતની રજનીશ દાદર (વેસ્ટ)ના ન્યુ પ્રભાદેવી રોડ પર આવેલા નગેટ્સ બિલ્ડિંગમાં રહેતા મોહનસિંહ પરમારને ત્યાં ઘરનોકર હતો. પોલીસે કહ્યું હતું કે મોહનસિંહ ભારત ઍલ્યુમિનિયમ લિમિટેડ કંપનીમાં અસોસિયેટ મૅનેજર છે અને તેમની પત્ની મીના ગૃહિણી છે.

દાદરના પોલીસ-ઇન્સ્પેક્ટર જયંત પરદેશીએ કહ્યું હતું કે ‘મીનાના ભાઈઓ નોઇડામાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા દિલીપ સિંહ અને કરણ સિંહ બહેનના ઘરે આવ્યા હતા અને તેઓ શૉપિંગ કરવા તથા ત્યાર બાદ અલીબાગ જવાનો પ્લાન કરી રહ્યા હતા. તેમણે ઘરના કબાટમાં કૅશ રૂપિયા રાખ્યા હતા. તેઓ કબાટમાંથી જ્યારે પોતાના ૩૨,૦૦૦ રૂપિયા કાઢવા ગયા ત્યારે એ ચોરાઈ ગયા હોવાની તેમને જાણ થઈ હતી.’

રજનીશ સતનાનો રહેવાસી છે અને મીના પણ ત્યાંની જ વતની હોવાથી તેઓ એકમેકને ઓળખતાં હતાં. મીનાએ પોલીસને કહ્યું હતું કે ‘રજનીશ અમારા ઘરે છેલ્લાં ૮ વર્ષથી કામ કરતો હતો. રજનીશના ડ્રોઅરમાં તપાસ કરી ત્યારે અમને એમાંથી થોડા રોકડા રૂપિયા મળ્યાં હતા.’

મીનાએ રજનીશની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે ચોરી વિશે કશું જ નહોતું કહ્યું. પરેલમાં કરિયાણાની દુકાનમાં કામ કરતા રજનીશના મિત્ર શિવેન્દ્રમને નોકરીની જરૂર છે એમ અગાઉ રજનીશે મીનાને કહ્યું હતું. એ વાતની યાદ આવતાં મીનાને લાગ્યું હતું કે તેણે ચોરેલા રૂપિયામાંથી અમુક તેના મિત્રને આપી રાખ્યા હશે એટલે મીનાએ રજનીશ પાસેથી તેના મિત્રનું ઍડ્રેસ માગી લીધું હતું. પરંતુ જેવી મીના તેના મિત્રને પૂછપરછ કરવા ઘરેથી નીકળવાની હતી એ જ વખતે રજનીશે મીનાના ભાઈ કરણ સમક્ષ પોતે રૂપિયા ચોર્યા હોવાનું કબૂલ કર્યું હતું અને પોતાને જ ગુનેગાર માની તે પોતાના ગાલ પર લાફા મારવા માંડ્યો હતો.

થોડા સમય બાદ રજનીશે કરણને કહ્યું હતું કે મેં છઠ્ઠા માળની ટેરેસ પર રૂપિયા છુપાવી રાખ્યા છે અને તેણે ઉપરથી ઝંપલાવી દીધું હતું.

કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ