લોઅર પરેલમાં ડમ્પરે ત્રણ જણને ઉડાડયા, બે વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ

25 February, 2020 11:56 AM IST  |  Mumbai

લોઅર પરેલમાં ડમ્પરે ત્રણ જણને ઉડાડયા, બે વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ

પ્રતિકાત્મક તસવીર

લોઅર પરેલના ના.મ.જોષી માર્ગ પર આવેલી બાવલા મસ્જિદ પાસેના મોનોરેલ સ્ટેશનના પુલ નીચે સોમવારે મોડી રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ભયાનક અકસ્માત થયો હતો. દારૂના નશામાં ધૂત ડમ્પરચાલક અતિશય વેગે પુલના નીચેથી જતો હતો, ત્યારે તેણે ડમ્પર પરનું નિયંત્રણ ગુમાવતા એક ટૅક્સી અને એક કારને અડફેટમાં લીધી હતી. જેમાં કારનો ખુરદો બોલાઈ ગયો હતો. ત્યારબાદ ડમ્પરચાલકે ત્યાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરતાં રસ્તામાં ચાલતા ત્રણ જણને કચડી નાખ્યા હતાં. જેમાથી બે જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે જખમી થયો હતો.

ના.મ.જોષી માર્ગ પોલિસે આપેલી માહિતી મુજબ, દુર્ઘટનામાં મૃત્યુ પામનારા બેમાંથી એક વ્યક્તિની ઓળખ થઈ છે. 59 વર્ષીય મૃતક સંજય સખારામ પવાર કલ્યાણનો રહેવાસી હતો. બીજા મૃતકની હજી સુધી ઓળખ થઈ નથી. જખમીને નાયર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સારવાર ચાલુ છે.

અકસ્માતમાં ત્રણ જણ ડમ્પર નીચે આવી ગયા હોવાનો ખ્યાલ આવતા જ સ્થાનિકો પુલ નીચે ભેગા થઈ ગયા હતાં અને પોલિસને જાણ કરી હતી. ના.મ.જોષી માર્ગ પોલિસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોચીને ડમ્પરચાલકની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

mumbai mumbai news lower parel