દીકરીને એકલી મૂકી શકું એમ નથી એટલે તેને પણ સાથે લઈ જાઉં છું અને કર્યું સુસાઈડ

12 May, 2021 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસાઇડ-નોટમાં આવું લખીને કાંદિવલીના યુવકે પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી ઃ કોરોનામાં પત્નીનું મૃત્યુ થયા બાદ બીજાં લગ્ન કર્યાં હોવા છતાં તે ડિપ્રેશનમાં હતો

પ્રતીકાત્મક તસવીર- મિડ-ડે

કોરોનાને કારણે પહેલી પત્નીનું મૃત્યુ થયા બાદ બીજાં લગ્ન કર્યા છતાં ડિપ્રેશનમાં સરી પડેલા યુવકે પોતાની ૬ વર્ષની માસૂમ દીકરીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના વિલે પાર્લે-વેસ્ટમાં બની હતી. આ સંદર્ભે સાંતાક્રુઝ પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. 

સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જ્ઞાનદેવ ગણોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિતેન્દ્ર બેડકરની પહેલી પત્નીનું ગયા વર્ષે મે મહિનામાં કોરોનાથી મૃત્યુ થયું હતું. તેને ૬ વર્ષની અર્પિતા નામની દીકરી હતી. ડિસેમ્બરમાં તેણે બીજાં લગ્ન કર્યાં હતાં છતાં તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે હાલમાં કાંદિવલીના ચારકોપમાં તેનાં માતા-પિતા અને પરિવારજનો સાથે રહેતો હતો. વિલે પાર્લેમાં તેની એક રૂમ હતી અને પત્ની અને પુત્રી સાથે તે ત્યાં રહેવા જવાનો હતો એટલે રૂમમાં રિપેરિંગ કરાવી રહ્યો હતો. તેની નોકરી પણ ચાલુ હતી. રવિવારે તે દીકરી અર્પિતાને લઈને વિલે પાર્લે ગયો હતો. સાંજે ૭ વાગ્યે તેના ભાઈએ તેને વારંવાર ફોન કર્યા, પણ ફોન રિસીવ નહોતો થતો એટલે તેના ભાઈએ પાડોશીને ફોન કરીને ચેક કરવાનું કહ્યું. પાડોશીએ કહ્યું કે રૂમ અંદરથી બંધ છે, લાઇટ-પંખો ચાલુ છે એથી ભાઈ તરત જ વિલે પાર્લે આવ્યો અને પોલીસને જાણ કરી. પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે બન્ને બાપ-દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. જિતેન્દ્ર પાસેથી સુસાઇડ-નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું, ‘દીકરીને એકલી મૂકી શકું એમ નથી એટલે તેને પણ સાથે લઈ જાઉં છું.’ જિતેન્દ્રએ પહેલાં દીકરીને ગળે ફાંસો આપ્યો હતો અને ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. અમે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. બન્ને મૃતદેહોનાં કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા બાદ સોમવારે સાંજે તેમના પરિવારજનોને સોંપી દીધા હતા.’ 

mumbai mumbai news kandivli suicide coronavirus covid19