બે ફરિયાદ તો થઈ, પણ દસ્તાવેજ નથી

02 November, 2019 11:32 AM IST  |  મુંબઈ ડેસ્ક | વિનોદ કુમાર મેનન

બે ફરિયાદ તો થઈ, પણ દસ્તાવેજ નથી

સંસદસભ્ય મનોજ કોટક અને વિધાનસભ્ય પરાગ શાહ શુક્રવારે ઇન્વેસ્ટરો સાથે ઈઓડબ્લ્યુની ઑફિસની બહાર.

મુંબઈ : ઘાટકોપરની રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સની પેઢી બંધ પડવાને કારણે રોકડ રકમો અને ઝવેરાતરૂપે રોકાણકારોની કરોડો રૂપિયાની મતા સલવાયા છતાં પોલીસ કહે છે કે એ કેસમાં નક્કર ફરિયાદ કે આધારરૂપ પુરાવા નથી. ફરિયાદ કે પુરાવાના અભાવે પોલીસ વિમાસણમાં હોવાનું કહે છે. ‘ઘાટકોપરમાં ૩૦૦ કરોડની કટોકટી’ શીર્ષક હેઠળ અખબારી અહેવાલો પ્રગટ થયા પછી એ ઘટના સંદર્ભે બે લેખિત ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવાઈ હતી, પરંતુ એમાંથી એક પણ ફરિયાદના સમર્થનમાં દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા નહોતા. એક ફરિયાદીએ તેમના રોકાણના ૨૦ લાખ રૂપિયા સલવાયા હોવાનું અને બીજા રોકાણકારે તેમના રોકાણના ૪૦ લાખ રૂપિયા સલવાયા હોવાનું જણાવ્યું હતું. 

ઘાટકોપર (ઈસ્ટ)ના રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સની પેઢીએ બહાર પાડેલી ગોલ્ડ સ્કીમ્સમાં લોકોની જુદી-જુદી રકમ સંડોવાયેલી છે. પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ભાલેરાવે ઉક્ત બે ફરિયાદોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘અમે ૧૦થી ૧૨ ફરિયાદોની રાહ જોઈએ છીએ. એને આધારે અમે એ જ્વેલરી શોરૂમના પ્રૉપ્રારાઇટર્સ, ડિરેક્ટર્સને બયાન નોંધવા માટે બોલાવીશું. ફરિયાદી અને બચાવ પક્ષનાં બયાન અને પુરાવાનો અભ્યાસ કર્યા પછી પેઢી બાબતે કદાચ કેસ બની શકશે.’
દરમ્યાન ગઈ કાલે સવારે ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટક અને ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહે કેટલાક રોકાણકારો સાથે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (ઈઓડબ્લ્યુ)નો અખત્યાર સંભાળતા જૉઇન્ટ પોલીસ કમિશનર રાજવર્ધન સિંહાની મુલાકાત લીધી હતી. રાજવર્ધન સિંહાએ પૂર્ણ સહકારની ખાતરી આપી હતી અને ફરિયાદો પર ધ્યાન આપવા માટે એક અધિકારીને પણ નિયુક્ત કર્યા છે. સિંહાએ જણાવ્યું હતું કે ‘અમે એફઆઇઆર નોંધ્યો નથી, હજી બયાન નોંધી રહ્યા છીએ. અમારી ટીમ જ્વેલરી શોરૂમ પર જઈને તપાસ કરશે અને દાવાઓની ચકાસણી કરશે. આખી સમસ્યાને સમજીને પગલાં લેવામાં આવશે.’

mumbai mumbai news