શરદ પવારે ઈડીની ઑફિસે જવાનો નિર્ણય રદ કર્યો

28 September, 2019 03:29 PM IST  |  મુંબઈ

શરદ પવારે ઈડીની ઑફિસે જવાનો નિર્ણય રદ કર્યો

શરદ પવાર

મુંબઈઃ એનસીપીના પ્રમુખ શરદ પવારે સમન્સ વગર ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઑફિસે પહોંચવાનો નિર્ણય ગઈ કાલે નાટ્યાત્મક રીતે રદ કર્યો હતો. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની ધાંધલ વચ્ચે ઈડીએ કેસ નોંધ્યા પછી એનસીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતાં રાજકીય માહોલમાં ગરમી આવવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાની પણ શક્યતા હતી. ગઈ કાલે સવારે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેએ શરદ પવારના ઘરે જઈને એમને વિનાકારણ ઈડીની ઑફિસે નહીં જવા સમજાવ્યા બાદ પવારે નવો નિર્ણય જાહેર કર્યો હતો. 

ઈડીએ ચોક્કસ તારીખે હાજર થવાની સૂચના કે સમન્સ મોકલ્યા નહીં હોવા છતાં ગઈ કાલે બપોરે બે વાગ્યે એ એજન્સીની ઑફિસમાં જવાની શરદ પવારે જાહેરાત કર્યા પછી પોલીસે સલામતીની કડક વ્યવસ્થા કરી હતી. દક્ષિણ મુંબઈના સાત પોલીસ સ્ટેશનોના ક્ષેત્રોમાં જમાવબંધીના આદેશની ૧૪૪મી કલમ લાગુ કરી હતી. ઈડીના હેડ-ક્વૉર્ટરની આસપાસ જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ઈડીના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્ક કૌભાંડની તપાસમાં ડિરેક્ટર્સ તથા અધિકારીઓને પૂછપરછ કર્યા બાદ જરૂર ઊભી થતાં શરદ પવારને બોલાવીશું, હાલમાં એમની સાથે વાત કરવાની આવશ્યકતા જણાતી નથી. ઈડીની ઑફિસે શરદ પવારને ઈ-મેઇલ પર ‘તમને અહીં આવવાની જરૂર નથી’ એવું જણાવ્યા છતાં પવારસાહેબ ત્યાં જવા ઇચ્છતા હતા. એ સંજોગોમાં પોલીસ કમિશનર સંજય બર્વેએ એમના ઘરે જઈને એમને સમજાવતાં પવારે બૅલાર્ડ પિયર વિસ્તારમાં એનસીપીની ઑફિસની નજીક ઈડીની ઑફિસે જવાનું માંડી વાળ્યું હતું.

શિવસેનાનું આશ્ચર્યજનક વલણ

શરદ પવારની સમન્સ વગર ઈડીની ઑફિસે જવાની જાહેરાતને પગલે અશાંતિની આશંકા અને ઊહાપોહના સંદર્ભમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘સાંપ્રત ઘટનાઓ પર સરકારે નજર રાખવી જોઈએ. આસપાસ શું બની રહ્યું છે એની સરકારે ખબર મેળવવી જોઈએ. આ બાબતે ઈડીએ સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. શરદ પવાર વરિષ્ઠ રાજકીય નેતા છે અને એમના ટેકોદારો સમગ્ર રાજ્યમાં છે. આવા વાતાવરણમાં એમના ટેકેદારો કંઈ પણ કરે એવી શક્યતા છે.’

mumbai sharad pawar