આરે બચાવો સામે અરેઆઈકાના

08 September, 2019 01:35 PM IST  |  મુંબઈ | રંજિત જાધવ, ચેતના યેરુણકર

આરે બચાવો સામે અરેઆઈકાના

અશ્વિની ભીડે

આરે કૉલોનીમાં મેટ્રો કારશેડના બાંધકામ સામે કરવામાં આવેલા વિરોધ સામે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનના સીએમઓ અશ્વિની ભીડેએ ‘અરેઆઈકાના’ ટ્વિટર હેન્ડલ પરથી શ્રેણીબંધ ટ્વીટ કરી મેટ્રો કઈ રીતે પર્યાવરણ માટે સાનુકૂળ રહેશે અને કાંજુર માર્ગમાં કારશેડ કેમ નહીં બાંધી શકાય તેની સ્પષ્ટતા કરી છે.

ટ્રી ઑથોરિટીએ છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૨૪,૪૭૨ વૃક્ષ કાપવાની મંજૂરી આપી હતી, જેમાંથી ૧૦,૦૭૪ વૃક્ષો કાપવાના અને ૧૪,૩૯૮ વૃક્ષોને ફરી રોપવાનાં હતાં. આ વૃક્ષોનું શું થયું, કેટલાં કપાયાં અને કેટલાને ફરી રોપવામાં આવ્યાં એ વિશે કોઈને માહિતી છે? જો એ વખતે અવાજ નહોતો ઉઠાવાયો તો હવે આટલો ઊહાપોહ શા માટે?

ભીડેએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું હતું કે વ્યાપક પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી સુધરતાં તેમ જ મોડેલ શિફ્ટ થતાં મુંબઈ મેટ્રો-૩ પ્રતિ વર્ષ ૨.૬૧ લાખ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે.

આરેમાં કાપવામાં આવનારાં વૃક્ષો વિશે બુમરાણ મચાવનારા લોકો છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન વૃક્ષો કપાયાં ત્યારે કેમ કાંઈ બોલ્યા નહોતા એવો પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે આરેના સ્થાને કાંજુર માર્ગમાં જમીન સૂચવનારા લોકોને આ જમીન વિવાદમાં સપડાયેલી હોવા વિશે માહિતી નથી.

આ પણ વાંચો : મુંબઈ: આજે, આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બાયોડાઇવર્સિટી ધરાવતી આરે કૉલોની સંજય ગાંધી નૅશનલ પાર્કનો હિસ્સો હોવાના એક્ટિવિસ્ટોના નિવેદનનો છેદ ઉડાડતાં ભીડેએ કહ્યું હતું કે આરેની જમીનને એસજીએનપીના જંગલનો હિસ્સો ગણવાની અરજીને મુંબઈ હાઈ કોર્ટે ફગાવી દીધી છે તેમ જ કારશેડ માટે વૈકલ્પિક સ્થળ તરીકે કાંજુર માર્ગને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નકારવામાં આવી છે.

જમીનમાલિકને ફાયદો કરાવવા મેટ્રો કારશેડનો વિરોધ :પ્રવીણ પરદેશી

કાંજુર માર્ગ ખાતેના જમીનના માલિકને આર્થિક લાભ પહોંચાડવા માટે આરે ખાતેના મેટ્રો કારશેડનો વિરોધ કરાઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ કર્યો છે. કરદાતાઓના ૫૨૦૦ કરોડ રૂપિયા એક જમીનમાલિકને આપવાનું યોગ્ય ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.

આરેને બચાવવા માટે કાંજુર માર્ગમાં મેટ્રો કારશેડને ખસેડવાની માગણી કેટલાક પર્યાવરણપ્રેમીઓ જોરશોરથી કરી રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ આ બાબતે બીજી બાજુ માંડતા કહ્યું હતું કે કેટલાક લોકો આર્થિક લાભ લેવા માટે આવો પ્રયાસ કરી રહ્યા છે.

કમિશનરે વધુમાં કહ્યું હતું કે કાંજુર માર્ગ ખાતેની ૨૦૦ એકર જમીન પ્રાઈવેટ માલિકીની છે. આ જગ્યાને હસ્તાંતરણ કરવાનો કે તાબામાં લેવાનો રાજ્ય સરકારને અધિકાર નથી. મુંબઈ હાઈ કોર્ટે ૧૯૭૪માં અને ૧૯૯૭માં આપેલા આદેશમાં આવું કહ્યું છે. આથી જમીન સંપાદન કાયદા અનુસાર આ જમીન સરકારે વેચાતી લેવી હોય તો એના માલિકને ૫૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈનાં ફેફસાં ગણાતા આરેમાં મેટ્રોનું કારશેડ બાંધવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલાં ૨૭૦૦ વૃક્ષ કાપવાને મંજૂરી આપ્યા બાદથી પર્યાવરણપ્રેમીઓ એનો વિરોધ કરી રહ્યા છે.

save aarey aarey colony mumbai news ranjeet jadhav chetna yerunkar