ભાડાં ઘટાડવાની અરજી બેસ્ટ પ્રશાસને મૂકી અને બેસ્ટ કમિટીમાં અટકી પડી

22 June, 2019 11:26 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર અકલેકર

ભાડાં ઘટાડવાની અરજી બેસ્ટ પ્રશાસને મૂકી અને બેસ્ટ કમિટીમાં અટકી પડી

BEST બસ

બેસ્ટ અન્ડર ટેકિંગની બસ-ભાડાં ઘટાડવાની દરખાસ્ત શિવસેનાપ્રણિત બેસ્ટ કમિટીએ રોકતાં સૌને આર્ય થયું હતું. બેસ્ટની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં સુધારા અને પ્રોત્સાહનની સેના-બીજેપી અને મહાનગરપાલિકાના કમિશનરની પૂર્વવિચારણાના અનુસંધાનમાં બસ-ભાડાં ઘટાડવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી અને શિવસેના-બીજેપીના નેતાઓએ બેસ્ટની બસ સર્વિસને વધારે બળવાન બનાવવાની યોજના ઘડી છે. એ યોજનાના ભાગરૂપે મહાનગરપાલિકા બેસ્ટ અન્ડર ટેકિંગને શરૂઆતમાં શરતી ધોરણે ૬૦૦ કરોડ રૂપિયા ફાળવશે. કાફલો વધારીને બસોની સંખ્યા ૭૦૦૦ સુધી લઈ જવા અને મિનિ બસોનું લઘુતમ ભાડું આઠ રૂપિયાથી ઘટાડીને પાંચ રૂપિયા કરવા અને સર્વિસમાં સુધારા વિશે અહેવાલ સુપરત કરવા જેવી શરતો ૬૦૦ કરોડ રૂપિયાના ફાઇનૅન્સ માટે મહાનગરપાલિકાએ મૂકી હતી.

મહાનગરપાલિકાની એ શરત મુજબ બેસ્ટ અન્ડર ટેકિંગના અધિકારીઓએ લઘુતમ પાંચ રૂપિયાથી શરૂ થતો બસ-ભાડાંનો નવો ચાર્ટ બનાવ્યો હતો. એમાં પ્રવાસના પ્રથમ પાંચ કિલોમીટરનું ભાડું પાંચ રૂપિયા, ૧૦ કિલોમીટરનું ભાડું ૧૦ રૂપિયા અને ૧૫ કિલોમીટરનું ભાડું ૧૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. ઍરકન્ડિશન બસોનું ભાડું પ્રથમ પાંચ કિલોમીટરના ૬ રૂપિયા અને પછી ૧૦ કિલોમીટર માટે ૧૩ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.

નિયમ પ્રમાણે દરખાસ્તો પહેલાં બેસ્ટ કમિટીની મિટિંગમાં મંજૂરી બાદ મુંબઈ મહાનગરપાલિકાની બેઠકમાં રજૂ કરવામાં આવે છે અને ત્યાર પછી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં લગભગ એક મહિનો પસાર થાય છે. બસ-ભાડાંમાં ઘટાડાની દરખાસ્ત શુક્રવારે બેસ્ટ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ એ દરખાસ્ત બેસ્ટ કમિટીની મિટિંગમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવી ત્યારે બીજેપીના નેતા અને કમિટીના સભ્ય સુનીલ ગણાચાર્યે એ દરખાસ્ત પર ચર્ચા કરવાની માગણી કરી હતી.

સુનીલ ગણાચાર્યે જણાવ્યું હતું કે ‘આ દરખાસ્ત કેવી રીતે આવી એ હું જાણતો નથી. ટ્રેડ યુનિયન્સ તથા અન્યો સાથે વાટાઘાટ બાદ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે નિર્ણયો અને દસ્તાવેજોને આધારે દરખાસ્ત રજૂ કરવામાં આવી હોય એ બધા બેસ્ટ કમિટીના રેકર્ડ પર મૂકવા જોઈએ. ખરેખર શું બન્યું છે અને આવી દરખાસ્ત રજૂ કરવાની શી ઉતાવળ છે, એ અમે જાણવા માગીએ છીએ.’

સુનીલ ગણાચાર્યે જણાવ્યું હતું કે ‘યોજના અવ્યવહારુ જણાય છે. આજે બેસ્ટ અન઼્ડર ટેકિંગ પાસે ૨૯૦૦ બસોનો કાફલો છે, એમાં વીસ લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે. ફક્ત ત્રણ મહિનામાં ૭૦૦૦ બસો મેળવવી શક્ય છે? એ ૭૦૦૦ બસોની જાળવણી બેસ્ટનું તંત્ર કેવી રીતે કરશે? ઇતિહાસ જોતાં બેસ્ટ અન્ડર ટેકિંગ પાસે ક્યારેય ૪૦૦૦ કરતાં વધારે બસોનો કાફલો નહોતો. બેસ્ટના ૨૬ ડેપોમાં ૪૦૦૦ કરતાં વધારે બસો સમાવવાની ક્ષમતા નથી. વધારાની બસો પાર્ક કરવાની વ્યવસ્થા ક્યાં છે? એ બસો હંકારશે કોણ? જો ભાડાં ઘટાડીને વધારે પ્રવાસીઓ મુસાફરી કરશે તો ઓછાં ભાડે વધારે બસો દોડાવવામાં બેસ્ટના તંત્રને નફો નહીં થાય અને એટલી જ આવક મળશે. એ બધી બાબતોનો વિચાર કરવો જરૂરી છે. એને માટે કોઈ આયોજન છે? આ દરખાસ્તને પુનર્વિચારણા માટે અટકાવવી જોઇએ.’ સુનીલ ગણાચાર્યના અભિપ્રાય સાથે બેસ્ટ કમિટીના ચૅરમૅન અનિલ પાટણકર સહિત શિવસેનાના સભ્ય સંમત થયા હતા. ચૅરમૅને દરખાસ્ત સ્વીકારવામાં આવી નહીં હોવાની નોંધ સાથે પૂરતી તૈયારી સાથે ભવિષ્યમાં ફરી દરખાસ્ત રજૂ કરવાની જરૂરિયાત દર્શાવી હતી.

આ પણ વાંચો : જાણો કેવી હોય છે બિઝનેસમેન મુકેશ અંબાણીની સિક્યોરિટી

બેસ્ટ અન્ડર ટેકિંગના જનરલ મેનેજર સુરેન્દ્ર બાગડેએ જણાવ્યું હતું કે ‘મને બેસ્ટ કમિટીની સંમતિ મેળવવાનો આત્મવિશ્વાસ હતો. પૂરતી વિચારણા સાથે મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. પ્રવાસીઓની સંખ્યા ૫૦ લાખ સુધી લઈ જવાનું અમારું લક્ષ્યાંક હતું. અમે ૫૦૦ બસો માટે ટેન્ડર્સ મગાવ્યાં છે અને વધુ ૧૦૦૦ બસો માટે ત્રણ મહિનામાં ટેન્ડર્સ મગાવવામાં આવશે. પાકિંર્ગની સમસ્યા ઉકેલવા માટે પૂરતી મોકળાશ ધરાવતા હાલના બસ ડેપોમાં વર્ટિકલ પાર્કિંગ ગોઠવી શકાય એમ છે. કમિટીએ દરખાસ્ત મંજૂર કરવી જોઇતી હતી, પરંતુ એમને સમજાવીને મારો મુદ્દો ગળે ઉતારવાનો મને આત્મવિશ્વાસ છે.’

mumbai mumbai news