22 November, 2019 02:55 PM IST | Mumbai | Ranjeet Jadhav
રસ્તાના ખાડા
માહિમથી અંધેરી સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબ્લ્યુઈએચ) પર પ્રવાસ કરી રહેલા મોટરચાલકો માટે સારા સમાચાર એ છે કે તેમને ટૂંક સમયમાં જ ખાડા વિનાના માર્ગોનો લાભ મળશે, કારણ કે એમએમઆરડીએ રિપેર, રિસર્ફેસિંગ અને મેઇન્ટેનન્સની કામગીરી પાછળ ૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ખર્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે.
આ ઉપરાંત, એમએમઆરડીએએ માહિમ જંક્શનથી ડબ્લ્યુઈએચ પરના ટિચર્સ કૉલોની સબવે સુધી બિચ્યુમિનસ ટ્રિટમેન્ટ દ્વારા મેઇન કેરેજવે, સ્લિપ લેન, સર્વિસ રોડ અને ફ્લાયઓવરના સુધારા માટે ટેન્ડર પણ મગાવ્યાં છે. આ ઉપરાંત ટિચર્સ કૉલોની સબવેથી મિલન સબવે સુધી અને મિલન સબવેથી અંધેરી–કુર્લા જંક્શન સુધી સમાન પ્રકારની રિપેરિંગની કામગીરી માટે પણ ટેન્ડર્સ મગાવ્યાં છે.
કરાર મેળવનારા બિલ્ડરે કાર્ય સમાપ્ત કરવાનું રહેશે અને ૧૧ મહિનાના સમયગાળા માટે તેની જાળવણી કરવાની રહેશે તથા આ ત્રણ માર્ગો પર ટેન્ડર માટેની કુલ રકમ ૫૩ કરોડ રૂપિયા કરતાં વધુ છે.
એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર દિલીપ કવાટકરે ‘મિડ-ડે’ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘અમે માહિમથી અંધેરી સુધી બિચ્યુમિનસ ટ્રિટમેન્ટ દ્વારા મુખ્ય કેરેજવે, સ્લિપ લેન, સર્વિસ રોડ અને ફ્લાયઓવરમાં સુધારો કરવા માટે ટેન્ડર્સ મગાવ્યાં છે. આ મામલે બિડર્સનો યોગ્ય પ્રતિભાવ મળવાની અમને અપેક્ષા છે.’
આ પણ વાંચો : અંધેરી અને માહિમ સ્ટેશન પરથી જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસનું બોર્ડ હટાવાયું
ઉલ્લેખનીય છે કે માહિમથી અંધેરી સુધીનો આ સમગ્ર સ્ટ્રેચ હાલમાં કંગાળ સ્થિતિમાં છે અને પિક અવર્સમાં માહિમથી અંધેરી સુધી પહોંચવામાં મોટરચાલકોને આશરે ૪૫થી ૬૦ મિનિટ જેટલો સમય લાગે છે.