23 December, 2019 02:34 PM IST | Mumbai | Ranjeet Jadhav
દીપડાને પકડવા સીપ્ઝમાં પાંજરું ગોઠવાયું
સીપ્ઝ વિસ્તારમાં વારંવાર દીપડો દેખાઈ રહ્યો હોવાને પગલે કોઈ અપ્રિય ઘટના ટાળવા તથા લોકો અને દીપડાની સુરક્ષાને ધ્યાનમાં લઈ થાણે વન વિભાગ (ટેરેટોરિયલ) દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે જેથી દીપડાને ફરીથી જંગલમાં છોડી શકાય.
શનિવારે વહેલી સવારે રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની પરવાનગીથી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ, ૧૯૭૫ના શેડ્યુઅલ-૧ મુજબ શહેર વિસ્તારમાં પ્રવેશ કરનારાં જંગલી પ્રાણીને પકડવા માટે પાંજરું મૂકતાં પહેલાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની મંજૂરી મેળવવી આવશ્યક છે અને જ્યાં સુધી શહેરમાં પ્રવેશેલું જંગલી પ્રાણી કોઈ પર હુમલો ન કરે કે પછી એની હાજરી એના પોતાના કે માણસજાત માટે જોખમરૂપ ન બને ત્યાં સુધી પાંજરું મૂકીને એને પકડવાની મંજૂરી આપવામાં આવતી નથી. જોકે તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને સીડબ્લ્યુડબ્લ્યુને પરવાનગી આપવાનો અધિકાર છે.
ઍડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ સુનીલ લિમયેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સીપ્ઝ અને મહાકાલી કેવ્ઝ વિસ્તારમાં વારંવાર દીપડાની હાજરીને ધ્યાનમાં રાખીને વિસ્તારના રહેવાસીઓની તેમ જ દીપડાની સુરક્ષા ધ્યાનમાં રાખીને સીડબ્લ્યુડબ્લ્યુએ દીપડાને પકડી એને જંગલમાં છોડી મૂકવા પાંજરું મૂકવાની પરવાનગી આપી હતી.