26 December, 2019 01:56 PM IST | Mumbai Desk
મુલુંડ - ચેકનાકા પાસે રહેતા અચલગચ્છ જૈન સંપ્રદાયના કુલ ૭૦ યાત્રાળુઓ રાજસ્થાનના જૈન તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા. તેમની બસને ૨૪ ડિસેમ્બરે મંગળવારે આબુ નજીક મુંગથલા ગામ પાસે ગોજારો અકસ્માત થયો હતો. સામેથી આવી રહેલી રાજસ્થાન એસટીની બસને કટ મારવા જતાં તેમની બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવતા બસ ૨૦ ફુટ નીચે પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં ૧૮ જણ ઘાયલ થયા હતા, જેમાંથી પાંચ જણની ઈજા ગંભીર હતી.
આ વિશે વધુ માહિતી આપતાં ભરતભાઈ જૈને કહ્યું હતું કે બસમાં કુલ ૬૦ યાત્રાળુઓ હતા જ્યારે પાછળની તુફાન જીપમાં ૧૦ યાત્રાળુઓ હતા. યાત્રાળુઓમાં મહિલાઓની મોટી સંખ્યા હતી. અકસ્માત થયા બાદ તરત જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને તેઓ મદદે પણ દોડ્યા હતા. બારીઓમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. એ પછી તેમને તરત જ નજીકના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવાયા હતા. અકસ્માતની જાણ તેમના મુંબઈમાં રહેતા સગાંસંબંધીઓને કરાઈ હતી. પાંચ જેટલા યાત્રાળુઓને સારવાર માટે મુંબઈ લઈ જવાયા હતા.