એમટીએનએલના કર્મચારીઓના વીઆરએસને કારણે લાખો ગ્રાહકોની હાલત થઈ કફોડી

06 February, 2020 06:39 PM IST  |  Mumbai Desk | vinod kumar menon

એમટીએનએલના કર્મચારીઓના વીઆરએસને કારણે લાખો ગ્રાહકોની હાલત થઈ કફોડી

મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ના ૮૨ ટકા સ્ટાફે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ હેઠળ ૩૧ જાન્યુઆરીએ નોકરી છોડી હતી એટલે કે મુંબઈ અને દિલ્હીમાંથી અંદાજે ૧૮,૦૦૦ એમટીએનએલનો સ્ટાફે વીઆરએસ માટે માગણી કરી હતી. જે લોકોએ વીઆરસી માટે માગણી કરી હતી એમાં સૌથી વધુ ક્લૅરિકલ ડિપાર્ટમેન્ટ અને પ્યૂન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા. આ બધાને કારણે શહેરના ૧૪ લાખ જેટલા લેન્ડલાઇન ફોન અને ૧૦ લાખ જેટલા મોબાઇલ ફોન ગ્રાહકોની હાલત ખરાબ થઈ છે.

એમટીએનએલ બ્રૉડબેન્ડમાં ઇન્ટરનેટ નેટવર્કમાં આવી રહેલી મુશ્કેલીના કારણે કર્મચારીઓને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી રહી છે. એક કર્મચારીએ જણાવ્યું હતું કે બ્રૉડબેન્ડમાં ટેક્નિકલ ખામીના કારણે છેલ્લા ઘણા દિવસથી પોર્ટલ બરાબર કામ નથી કરી રહ્યું.

એમટીએનએલ કામગાર સંઘના પ્રેસિડન્ટ અરવિંદ સાવંતે પોતાનો રોષ દર્શાવતાં જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં કંપનીનું નાણાકીય પરિણામ કથળી ગયું છે. કંગાળ રિઝલ્ટનું કારણ છેલ્લાં દસ વર્ષની બીજેપી અને કૉન્ગ્રેસની સરકાર છે. તેઓ પ્રાઇવેટ કંપનીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.

જ્યારે એમટીએનએલ દિલ્હીના સિનિયર મૅનેજર શમા કૌશિકે જણાવ્યું હતું કે હું આ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી શકું એમ નથી.
એમટીએનએલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે મલ્ટિટાસ્ક આપવા માટે અમે કંપનીમાં પહેલાં રજૂઆત કરી હતી. છેલ્લા બે મહિનાનો પગાર અમને મળ્યો નથી. અમારી ઉપર ઘરની જવાબદારીઓ અને લોન પણ છે.

કૉલ સેન્ટર્સ બંધ કરાયાં
એમટીએનએલના અંદાજે ૧૨૫ જેટલાં એક્સચેન્જ મુંબઈ, થાણે, નવી મુંબઈ, મીરા- ભાઇંદર, ઉરણ અને પનવેલમાં છે. પ્રભાદેવી વિસ્તારના એક્સચેન્જને છોડીને આ તમામ એક્સચેન્જ પર કૉલ સેન્ટર્સ હતાં જે ૩૧ જાન્યુઆરી પછી બંધ થયાં છે.

vinod kumar menon mumbai news mtnl