13 January, 2020 04:25 PM IST | Mumbai Desk | gaurav sarkar
નાગરિકતા સંશોધન કાયદાનો શાંતિપૂર્વક વિરોધ કરતા મિલ્લત નગરના રહેવાસીઓ. તસવીર : સમીર માર્કન્ડે.
કેન્દ્ર સરકારના સીએએના કાયદાના વિરોધમાં ગઈ કાલે અંધેરીના મિલ્લતનગરમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શન થયાં હતાં. ‘હમ ભારત કે લોગ’ના બૅનર હેઠળના આ વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નાગરિકો, ઍક્ટિવિસ્ટો, બૉલીવુડ અને ટીવી-ઇન્ડસ્ટ્રીના કલાકારો સામેલ થયા હતા.
સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત બાદ અંધેરીના મિલ્લતનગરમાં રહેતા મુસ્લિમો તેમ જ બાજુના યમુનાનગર, લોખંડવાલા અને ઓશિવરાના લોકો પણ આ પ્રોટેસ્ટમાં જોડાયા હતા. મંચ પર ‘હમ ભારત કે લોગ’ની નૅશનલ કમિટીના સભ્યો ફેરોઝ મીઠીબોરવાલા, વર્ષા વિજયવિલાસ સહિતના લોકો સાથે બૉલીવુડ અને ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કલાકારો જોવા મળ્યા હતા.
આ સમયે સીએએનો વિરોધ કરી રહેલાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર હતા. સાવધાન ઇન્ડિયા શોના ભૂતપૂર્વ હોસ્ટ સુશાંત સિંહ, બૉલીવુડ અભિનેતા મોહમ્મદ ઝિશાન અયુબ વગેરેએ તેમના વિચાર રજૂ કર્યા હતા.
આ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થનારા તમામ લોકોએ ભારતને મોદીના પંજામાંથી બચાવવાની લોકોને અપીલ કરી હતી. દેશનાં ૧૧ રાજ્યમાં સીએએ, એનઆરસી અને એનપીઆર લાગુ ન કરવાની વાત પણ તેમણે આ સમયે કરી હતી. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકાર આવતાં મુસ્લિમો માટે શિવાજી પાર્કના દરવાજા પણ પ્રોટેક્ટ માટે ખૂલવાની આશા કેટલાકે વ્યક્ત કરી છે.