13 February, 2020 10:05 AM IST | Mumbai Desk
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર રાજ્યની વિધાનસભાના આગામી સત્રમાં તમામ શાળાઓ, પછી તે ભલે કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન હોય એ શાળાઓમાં ધોરણ ૧૦ સુધી મરાઠી ફરજિયાત ભણાવતો વિધેયક લાવશે, એમ કૅબિનેટ પ્રધાને બુધવારે જણાવ્યું હતું.
મરાઠી ભાષાના મંત્રી સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે અને સૂચિત કાયદો ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.
પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ૨૫,૦૦૦ શાળાઓ એવી છે જે મરાઠી શીખવતી નથી. એક વખત વિધેયક પસાર થઈ જાય ત્યાર બાદ અહીં ચાલી રહેલી તમામ શાળાઓએ તેમના અભ્યાસક્રમના ભાગરૂપે મરાઠી ભાષા શીખવવી ફરજિયાત થઈ જશે.
આ અંગેના ડ્રાફ્ટને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે તથા તેની જટિલતા પર કામગીરી ચાલી રહી છે, એમ દેસાઈએ જણાવ્યું હતું.
માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ સાથે સંલગ્ન શાળાઓ ઉપરાંત એવી સંખ્યાબંધ શાળાઓ છે જે આઇસીએસઇ, સીબીએસઇ અને આઇજીસીએસઇ જેવાં શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા અભ્યાસક્રમને અનુસરે છે.