28 February, 2020 04:12 PM IST | Mumbai Desk
બીજેપીનાં સંસદસ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર ગુરુવારે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સંડોવણીને મામલે સ્પેશ્યલ એનઆઇએ કોર્ટ સમક્ષ હાજર થયાં હતાં. આ કેસમાં ઠાકુર આરોપી છે.
સ્પેશ્યલ જજ વી. એસ. પડાલકરે આ કેસના તમામ આરોપીઓને સપ્તાહમાં એક વખત કોર્ટ સમક્ષ હાજર થવાના તેમના (ગયા વર્ષે મે મહિનામાં પસાર કરવામાં આવેલા) આદેશની નોંધ લેવાનું જણાવ્યું એના એક દિવસ બાદ તેઓ હાજર થયાં હતાં.
ભોપાલનાં આ સંસદસભ્ય બપોરે એક વાગ્યે અદાલત સમક્ષ હાજર થયાં હતાં. તેમની હાજરીની નોંધ લીધા બાદ જજે તેમને જવાની અનુમતિ આપી હતી.
કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીત કરવા દરમ્યાન ઠાકુરે જણાવ્યું હતું કે જ્યારે પણ અદાલત તેમને સમન બજાવશે ત્યારે તેઓ હાજર થશે.
છેલ્લે તેઓ જૂન ૨૦૧૯માં કેસના મામલે અદાલત સમક્ષ હાજર થયાં હતાં.
ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિતની સાત વ્યક્તિઓ આ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહી છે.