13 February, 2020 09:59 AM IST | Mumbai Desk | dharmedra jore
લગભગ ૧૫ વર્ષ સુધી લડત આપ્યા બાદ આખરે મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓને ૨૯ ફેબ્રુઆરીથી સપ્તાહમાં પાંચ કાર્ય દિવસ મળશે. પ્રધાનોની ટીમમાં આ મુદ્દે કેટલીક ચિંતાઓ હોવા છતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની કૅબિનેટે આ નિર્ણય લીધો હતો. જોકે વધારાની એક રજા બદલ સરકારે જે નુકસાન વેઠવું પડશે તેને સંતુલિત કરવા માટે કામના કલાકોમાં ઓછામાં ઓછો ૪૫ મિનિટનો વધારો કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આ નિર્ણય અંગે કેટલીક શંકાઓ હતી, પરંતુ ઠાકરે તેમાં આગળ વધ્યા હતા. વર્તમાન વ્યવસ્થામાં કર્મચારીઓ જ્યારે આઠ કલાક કામ કરવા માટે તૈયાર નથી ત્યારે તેઓ પાંચ દિવસ વધુ કામ કરે તેવી અપેક્ષા રાખવી અવ્યવહારુ છે. સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે નવી ફોર્મેટ અનુસાર કર્મચારીઓએ વર્ષના ૨૧૧૨ કલાક કામ કરવું પડશે, જે અગાઉની ૨૦૮૮ કલાકની સરેરાશ કરતાં વધારે છે.
જોકે ફૅક્ટરી નિયમો હેઠળ કામ કરનારી ઑફિસોમાં સપ્તાહના પાંચ દિવસનો નિયમ લાગુ પડશે નહીં, જેમાં જાહેર હૉસ્પિટલો, રાજ્ય દ્વારા સંચાલિત શાળા-કૉલેજો, પોલીસ, જેલ, પાણીપુરવઠા, ફાયર બ્રિગેડ અને કન્ઝર્વન્સી સ્ટાફનો સમાવેશ થાય છે.