30 December, 2019 02:12 PM IST | Mumbai | Chetna Sadadekar
મુંબઈમાં હવે ૨૪ કલાક ફૂડ ટ્રક ચાલુ રહેશે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક ફૂડ ટ્રક ચાલુ રાખવાનો કન્સેપ્ટ લાવવામાં આવશે. બીએમસીની પૉલિસી અનુસાર ફૂડ ટ્રક કયા-કયા પૉઇન્ટ પર ઊભી રાખવામાં આવશે એ જે-તે વૉર્ડના અધિકારીઓ નક્કી કરશે.
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે બીએમસીના નેતાઓને ડ્રાફ્ટ પૉલિસી આપવા અગાઉ એમાં અમુક સુધારા-વધારા કરવામાં આવ્યા છે. બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ટ્રકના માલિકોને લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવશે. લાઇસન્સ ઇશ્યુ કરતાં પહેલાં ફૂડ ટ્રકમાં સ્વચ્છતા, ટ્રન્સપોર્ટ લાઇસન્સ, કયા પ્રકારનો ખોરાક પીરસવામાં આવે છે એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફૂડ ટ્રક કઈ જગ્યાએ ઊભી રાખવામાં આવશે અને એને લીધે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવશે. જોકે મોટા કમર્શિયલ વિસ્તારોની આસપાસ વધુ ટ્રક મૂકવામાં આવશે.
બીએમસીના સિનિયર હેલ્થ ડિપાર્ટમેન્ટ ઑફિસરે જણાવ્યું હતું કે ફૂડ ટ્રકને મંજૂરી આપ્યા બાદ ૨૪ કલાક એ કેવી રીતે ચાલુ રાખવામાં આવશે એ બાબતે ચકાસણી ચાલી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે નવી યોજનાને કારણે શહેરમાં કોઈ આગની કે ટ્રાફિક જૅમ જેવી સમસ્યા ન ઉદ્ભવે. આ સાથે અમે આરટીઓ સાથે પણ કો-ઑર્ડિનેટ કરી રહ્યા છીએ.