19 January, 2020 02:19 PM IST | Mumbai Desk
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ નાગપુરની રાષ્ટ્ર-સંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના ૧૦૭મા પદવીદાન સમારંભને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘નાગરિકતા ફક્ત અધિકારો નહીં, ફરજોનો પણ વિષય છે. યુનિવર્સિટીઓના શિક્ષણનો હેતુ સમજવા અને એ દિશામાં કામ કરવાની જરૂર છે. યુનિવર્સિટીએ એ ફક્ત સિમેન્ટ અને ઇંટોનું બાંધકામ નથી. યુનિવર્સિટીઓએ કોઈ કારખાનાં જેવું કામ કરવાનું હોતું નથી.’
જસ્ટિસ બોબડેએ જણાવ્યું હતું કે ‘શિક્ષણ સાથે શિસ્ત જોડાયેલું હોય છે. યુનિવર્સિટીઓની ડિગ્રીઓ મંઝિલ નથી. એ ડિગ્રીઓ લક્ષ્ય હાંસલ કરવાનું માધ્યમ છે. આપણે સમાજ તરીકે શું સિદ્ધ કે પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ એ યુનિવર્સિટીઓ દ્વારા વ્યક્ત થાય છે, પરંતુ આજના વખતમાં શિક્ષણનું વ્યાપારીકરણ ચિંતાનો વિષય બન્યું છે. કેટલીક શિક્ષણ સંસ્થાઓ રીતસર ધંધાદારી બની ગઈ છે. ખરેખર તો જ્ઞાન, બૌદ્ધિકતા અને ચારિત્ર્યનો વિકાસ શિક્ષણના હેતુઓ છે.’