15 March, 2020 10:28 AM IST | Mumbai Desk | Rajendra B Aklekar
આગામી દિવસોમાં લોકલ ટ્રેનમાં પણ ભીડ ઓછી રહેવાની શક્યતા છે. તસવીર : આશિષ રાજે
મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થામાં શનિવારે લોકોની ભીડ ઘણી ઓછી જોવા મળી હતી. ‘મિડ-ડે’એ પ્રથમ જણાવ્યું હતું એ મુજબ ટિકિટો અને પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને રેલવેએ શનિવારે જણાવ્યું હતું કે બહારગામની ટ્રેનોમાં ધાબળા (બ્લેન્કેટ્સ)નો ઉપયોગ બંધ કરી દેવાયો છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે લોકલ અને લાંબા અંતરની તમામ ટ્રેનોની સફર શરૂ થતાં પહેલાં અને સફર પૂરી થયા બાદ યાર્ડ અને સ્ટેશનમાં ડિસઇન્ફેક્શન માટે સફાઈ હાથ ધરી હતી.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર શિવાજી સુતારે જણાવ્યા પ્રમાણે ‘લિનનને સેનિટાઇઝ્ડ કરવામાં આવી રહ્યા છે, પથારીમાં બ્લેન્કેટ્સ આપવામાં આવી રહ્યા નથી. પેસેન્જરોએ જેનો ઉપયોગ કર્યો હોય એ ચીજોને અલાયદી લિનન બૅગમાં એકઠી કરવામાં આવશે. તમામ બ્લેન્કેટ્સને તાત્કાલિક અસરથી યુવી લાઇટ ઇમર્સનથી સજ્જ લોન્ડ્રીના ટમ્બલ ડ્રાયર્સમાં ઊંચા તાપમાન પર પલાળવામાં આવશે.’
તેમણે ઉમેર્યું હતું કે કોચને ડિસઇન્ફેક્ટ કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. જ્યાં સ્પર્શ થવાની શક્યતા હોય એવી તમામ સપાટીઓ જેમ કે ડોર હૅન્ડલ, બર્થ ગ્રેબ હૅન્ડલ, વૉશબેઝિન, એન્ટ્રી ડોર અને પાર્ટિશન ડોરનાં હૅન્ડલ્સને લૂછવામાં અને સાફ કરવામાં આવ્યાં હતાં.