31 October, 2019 07:45 AM IST | મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ
બીજેપી વિધાનમંડળ પક્ષની ગઈ કાલે યોજાયેલી બેઠકમાં નેતા તરીકે ફરી નિયુક્ત કરાયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં આગામી સરકાર મહાયુતિની હશે એ વિશે કોઈએ શંકા ન રાખવી. આમ કહીને તેમણે શિવસેના સાથેની મડાગાંઠને ઝાઝું મહત્વ ન આપવાની કોશિશ કરી છે. આ સિવાય મુખ્ય પ્રધાનપદ માગી રહેલા શિવસેનાને બીજેપીએ નાયબ મુખ્ય પ્રધાનપદની સાથે ૧૬ મંત્રાલયની ઑફર કરી છે અને ૩ નવેમ્બરે નવી સરકારની શપથવિધિ કરવાની તૈયારી આરંભી હોવાનું જાણવા મળ્યું છે. જોકે શિવસેના એક જ રટ પકડીને બેઠી છે કે રાજ્યની સરકારમાં સામેલ થવા બાબતે કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સિવાય અમે કોઈ સાથે વાત નહીં કરીએ. આ ઉપરાંત સંજય રાઉતે તો એટલે સુધી કહી નાખ્યું હતું કે મહારાષ્ટ્રની કુંડળી તો શિવસેના જ ઘડશે.
આ પણ વાંચો : મીરા-ભાઇંદરનાં અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈનનું બીજેપીને સમર્થન
આજે ગુરુવારે શિવસેનાના વિધાનમંડળ પક્ષની બેઠક યોજાવાની છે અને એમાં આદિત્ય ઠાકરેની નેતા તરીકે વરણી થવાની શક્યતા છે. અલબત્ત, બીજેપીની ઑફર વિશે શિવસેના કાલ ને કાલ કોઈ નિર્ણય લેશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી.