19 September, 2019 10:41 AM IST | મુંબઈ | અનુરાગ કાંબલે
આયેશા હુસયા
ગોવંડીમાં ટ્યુશનમાં આવતા ૧૨ વર્ષના છોકરાએ જે ટીચરને મોતને ઘાટ ઉતારી તે આયેશા હુસયાએની મમ્મી છેલ્લા ઘણા સમયથી આયેશાને પરિવાર સાથે રહેવા સમજાવી રહી હતી. આયેશાના પિતાની જે રીતે હત્યા થઈ હતી તે જ રીતે તેની સાથે પણ અજૂગતું બની શકે છે એવી ભીતી આયેશાની મમ્મીને હંમેશાં રહેતી હતી. આયેશાના પિતા અસ્લમ હુસયાની ૨૦૧૦માં પ્રૉપર્ટીના મુદ્દે હત્યા કરવામાં આવી હતી.
નાના પાયે શરૂઆત કરી આત્મનિર્ભર બનનારા અસ્લમે ૧૯૯૨ના કોમી રમખાણ પછી માનખુર્દ અને ગોવંડીની પ્રતિષ્ઠિત શાળાઓએ શિવાજીનગરના સ્ટુડન્ટ્સને બ્લેકલિસ્ટ કરતાં તેના ભાઈ સાથે મળીને પોતાની બચતના પૈસામાંથી શાળા શરૂ કરી હતી. અસ્લમની હત્યા પછી લગભગ ત્રણ વર્ષ પહેલાં આયેશા તેના પતિથી છૂટી થઈને શિવાજીનગરમાં એકલી રહી સ્કૂલ સંભાળતી હતી.
આયેશાની આન્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું પણ ઉર્દૂ સ્કૂલનું કામ સંભાળું છું પણ ત્યાં રહેતી નથી. કેટલાક લોકો અમે સ્થાનિક લોકોના ભલા માટે કામ કરીએ તે હજમ કરી શકતાં નથી.’
આ પણ વાંચો : થાણેમાં લેડિઝ સ્પેશ્યલ તેજસ્વિની બસ શરૂ કરાઈ
આયેશાની મમ્મી અંજૂમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આયેશાના આધુનિક પહેરવેશ અને વિચારસરણી શિવાજીનગરના લોકોને પસંદ નહોતાં.’ પોલીસનું કહેવું છે કે આયેશાનું પર્સ ઘરમાંથી જ મળ્યું છે, જેમાં ૧૪,૦૦૦ રૂપિયા રોકડા હતા. આમ લૂંટનો આશય સિદ્ધ થતો નથી. અમને સમજાતું નથી કે આ છોકરાને એવો શો ગુસ્સો આવ્યો કે તેણે આયેશા પર આટલા પ્રહાર કર્યા અને ત્યાંથી નાસવાની પણ કોશિશ ન કરી?