26 October, 2019 02:10 PM IST | મુંબઈ | અનામિકા ઘરત
યોગેશ વિશે
સેન્ટ્રલ રેલવેના શહાડ રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર હાર્ટઅટેક આવતાં બેભાન થયેલા ૨૮ વર્ષના યોગેશ વિશેને લગભગ એક કલાક સુધી કોઈ સારવાર ન મળતાં તેમનું મોત નીપજ્યું હતું. યોગેશ વિશે બેભાન થયા બાદ લગભગ એક કલાક પછી ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ આરપીએફને તેમ જ આ યુવાનના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી. પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને તત્કાળ યોગેશને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ઘટના મંગળવારે રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની છે. રાહદારીએ આરપીએફને જાણ કરી પરંતુ આરપીએફે ફોનની અવગણના કરી કોઈ મદદ ન પાઠવી એમ યોગેશના ભાઈ મહેશ વિશેએ ‘મિડ-ડે’ને જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે ‘હૉસ્પિટલના ડૉક્ટરોએ મને જણાવ્યું કે યોગેશને હૉસ્પિટલ લાવવામાં ઘણું મોડું થયું હોવાથી તેનું મૃત્યુ થયું હતું. જો આરપીએફે મારા પરિવારને યોગેશને હૉસ્પિટલમાં પહોંચવામાં મદદ કરી હોત તો તે જીવિત હોત. જ્યારે રાહદારીએ આરપીએફને યોગેશના બેભાન થયાની જાણ કરી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા.’
મહેશ વિશેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે હું મંગળવારે રાત્રે ફરજ પરના આરપીએફ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરીશ.