09 January, 2023 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ૧૯૯૩માં જેવા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાયા હતા એવા બૉમ્બબ્લાસ્ટ અને રમખાણો ફરી કરાશે એવો ધમકીભર્યો ફોન શનિવારે સાંજે ૭.૨૭ વાગ્યે મુંબઈ પોલીસ કન્ટ્રોલને આવ્યો હતો.
આ બાબતને તરત જ ગંભીરતાથી લઈને ઍન્ટિ-ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ની બે ટીમ બનાવી તપાસ કરીને આખરે એ ફોન કરનાર પંચાવન વર્ષના નબી યાહ્યા ખાન ઉર્ફે કેજીએન લાલાને મલાડની પઠાણવાડીમાંથી ઝડપી લીધો હતો. તેણે એ ધમકી આપતી વખતે એમ પણ કહ્યું હતું કે આ બ્લાસ્ટ કરાવવા પાછળ કૉન્ગ્રેસના એક ભૂતપૂર્વ વિધાનસભ્યનો હાથ છે. એટીએસ તેની પૂછપરછ કરી રહી છે. એ ધમકી આપનારે એમ કહ્યું હતું કે મુંબઈના માહિમ, નાગપાડા, ભીંડીબજાર, મદનપુરામાં આ બૉમ્બબ્લાસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, ૧૯૯૩ના બ્લાસ્ટ પછી જે રીતે રમખાણો થયાં હતાં એ પણ થશે અને એ માટે બહારગામથી લોકો આવ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે જે રીતે દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો હતો એવી જ ઘટના આવતા બે મહિનામાં મુંબઈમાં પણ બનશે.
કેજીએન લાલાની પૂછપરછમાં તેણે જ એ ફોન કર્યો હોવાનું કબૂલ્યું હતું. તેની સામે મુંબઈનાં વિવિધિ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ચોરી, વિનયભંગ અને અતિક્રમણ જેવા ગુના નોંધાયેલા છે. તેને ૨૦૨૧માં મલાડમાંથી તડીપાર પણ કરાયો હતો. હાલ આ ધમકી આપવા સંદર્ભે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.