૫૦,૦૦૦ ખેડૂતોની કાલે રાજભવન કૂચ

25 January, 2021 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦,૦૦૦ ખેડૂતોની કાલે રાજભવન કૂચ

કેન્દ્રના કૃષિ કાયદાની ખિલાફ આઝાદ મેદાનની રેલીમાં હાજરી આપવા આખા રાજ્યમાંથી આવેલા હજારો ખેડૂતો. (તસવીર: બીપીન કોકાટે)

કૃષિ ક્ષેત્રે સુધારાના કેન્દ્ર સરકારના કાયદા વિરુધ્ધ આંદોલનનો દિલ્હીથી શરૂ થયેલો જુવાળ મહારાષ્ટ્રમાં પણ ફેલાઈ રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી પૂર્વે તેમને સમર્થન આપવા આજે મુંબઈના આઝાદ મેદાનમાં રાજ્યના ખેડૂતો ઉક્ત ત્રણ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરશે. સંયુક્ત શેતકરી કામગાર મોરચાના ઉપક્રમે યોજાયેલા ધરણાં અને જાહેર સભાના ભાગરૂપે આજે આઝાદ મેદાન ખાતે આંદોલનકારી ખેડૂતોને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવાર સહિત મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના અનેક નેતાઓ સંબોધન કરશે. કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમે આ વિરોધ પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું છે.

ખેડૂત આંદોલનના ભાગરૂપે સંયુક્ત કિસાન મોરચાએ ૨૩ થી ૨૬ જાન્યુઆરી સુધી વિવિધ રાજ્યોના રાજભવનોના ઘેરાવનું એલાન આપ્યું હતું. તે ઉપરાંત ૧૦૦ જેટલા સંગઠનોએ રચેલા સંયુક્ત શેતકરી કામગાર મોરચાએ ૨૪ થી ૨૬ જાન્યુઆરી સુધી  આઝાદ મેદાનમાં ધરણાં કરવાનું એલાન આપ્યું હતું. એ ત્રણ દિવસના કાર્યક્રમના ભાગરૂપે આજે જાહેર સભા યોજાશે.

વિરોધ પ્રદર્શનના સ્થળ આઝાદ મેદાનની આસપાસ અને દક્ષિણ મુંબઈના અનેક ઠેકાણે પોલીસ અને રાજ્ય અનામત પોલીસ દળનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા બંદોબસ્તમાં ડ્રોન્સનો પણ ઉપયોગ કરવામાં આવનાર હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

એ વિરોધ પ્રદર્શન માટે ગઈકાલથી મહારાષ્ટ્રના વિવિધ પ્રાંતોમાંથી ખેડૂતો મુંબઈ ભણી રવાના થવા માંડ્યા હતા. ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહારાષ્ટ્ર એકમે નાશિકથી ૧૫,૦૦૦થી વધારે ખેડૂતો નાશિકથી રવાના થયા હોવાનું ગઈકાલે જણાવ્યું હતું. ગઈકાલે બપોરે કસારા ઘાટથી સેંકડો ખેડૂતો મુંબઈની દિશામાં આગળ વધ્યા હતા. આખા રાજ્યમાંથી આવીને આઝાદ મેદાનમાં ભેગા થનારા ૫૦,૦૦૦ જેટલા ખેડૂતો આવતી કાલે સવારે ગવર્નરને મળીને તેમને ત્રણેય કાયદા રદ કરવા માટેનું એક મેમોરેન્ડમ આપશે. આખા દેશના તમામ રાજ્યમાં આ રીતે વિરોધ પ્રદર્શન કરવાનું ખેડૂતોએ નક્કી કર્યું છે. ગવર્નરને મળ્યા બાદ ધ્વજવંદન અને આઝાદીના ગીતો ગાઈને આ આંદોલનમાં સફળતા મેળવીને જ રહીશું એવી સોગંદ લઈને તેઓ છૂટા પડશે.

maharashtra mumbai mumbai news