10 February, 2019 08:36 AM IST | મુંબઈ | દિવાકર શર્મા
પ્રતીકાત્મક તસવીર
CISFના ૪૩ વર્ષની વયના કૉન્સ્ટેબલ ભંવરલાલ નાયકે ગઈ કાલે સવારે આત્મહત્યા કરી હતી. ભંવરલાલને સાંતાક્રુઝ (વેસ્ટ)માં સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડના ઘરની બહાર ડ્યુટી સોંપવામાં આવી હતી.
ઝોનલ ડેપ્યુટી પોલીસ-કમિશનર પરમજિત સિંહ દહિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. કૉન્સ્ટેબલે સવારે સાડાદસથી અગિયાર વાગ્યાની વચ્ચે AC શ્રેણીની સર્વિસ રાઇફલથી પોતાના પર ગોળી ચલાવી હતી.
વતનમાં પરિવાર સાથે એક મહિનાની રજાઓ ગાળી હાલમાં જ કામ પર ચડેલા ભંવરલાલની દિલ્હીથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તે શુક્રવારે સાંજે જ મુંબઈ પહોંચ્યો હતો. ભંવરલાલ પાસેથી કોઈ સુસાઇડ-નોટ સાંપડી નથી.
આ પણ વાંચો : પહેલા ધોરણમાં ઍડ્મિશન માટે યુનિફૉર્મ એજ લાગુ કરાવો: વિનોદ તાવડે
ભંવરલાલના સહકર્મચારીઓએ જણાવ્યા મુજબ તેણે તેના ગળા પર બંદૂક મૂકી ટ્રિગર દબાવી દીધું હતું. તેની સર્વિસ રાઇફલમાંથી એક બુલેટ ઓછી થઈ છે. ભંવરલાલના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે તથા તેની સર્વિસ રાઇફલને બૅલિસ્ટિક ઍનૅલિસિસ માટે મોકલવામાં આવી છે.