નાલાસોપારામાં બિલ્ડરની ધોળે દિવસે હત્યા

06 November, 2014 05:36 AM IST  | 

નાલાસોપારામાં બિલ્ડરની ધોળે દિવસે હત્યા



ગઈ કાલે બપોરે નાલાસોપારામાં બે અજાણ્યા હુમલાખોરોએ ૩૭ વર્ષના બિલ્ડર રાજેશ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં ગઈ કાલે સાંજે પાંચ જણને તાબામાં લીધા હતા, પણ કોઈની ધરપકડ કરવામાં નથી આવી.

નાલાસોપારા (વેસ્ટ)માં સાંઈનાથ નગરમાં દીપ રેસિડન્સી બિલ્ડિંગમાં ખુશબૂ ટ્રેડર્સ બિલ્ડર્સ ડેવલપર્સ નામની ઑફિસ ધરાવતો રાજેશ સિંહ ગઈ કાલે બપોરે બાર વાગ્યે પોતાની ઑફિસની બહાર નીકળીને શ્રી પદ્માવતી જેમ્સ નામની દુકાન પાસે ઊભો હતો ત્યારે લાલ રંગની બાઇક પર આવેલા બે હુમલાખોરોએ તેને પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળીઓ મારી હતી. આ ઘટના બાબતે પોલીસ-સૂત્રોનું કહેવું હતું કે આરોપીઓ શાર્પશૂટર્સ નહોતા. આરોપીઓએ ૨૦ ફૂટના અંતરેથી ૬ ગોળી છોડી હતી, પણ ફક્ત બે ગોળી રાજેશ સિંહના માથામાં વાગી હતી.

ગોળી માર્યા બાદ હુમલાખોરો બાઇક પર જ ફરાર થઈ ગયા હતા. રાજેશ સિંહને તરત જ નજીકની અલાયન્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. તે ત્રિલોકચંદ નામની ગૅસ-એજન્સી પણ ચલાવે છે.

આ મર્ડર પાછળનું કારણ હજી જાણી શકાયું નથી, પણ વેપારી દુશ્મનાવટ આ પાછળનું કારણ હોઈ શકે છે. એક સિનિયર ઑફિસરે આ ઘટના બાબતે કહ્યું હતું કે ‘આખી ઘટના ઘ્ઘ્વ્સ્માં ઝડપાઈ ગઈ હતી અને આ ફુટેજની મદદથી અમે હુમલાખોરોને પકડવાની કોશિશ કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે હુમલાખોરો સ્થાનિક છે, નહીં કે શાર્પશૂટર્સ.’