દહિસરમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

10 December, 2020 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દહિસરમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પ્રતીકાત્મક તસવીર

દહિસરમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનું કામ કરતા ૩૦ વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દહિસર પોલીસે આ સંદર્ભે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાના આ કેસ વિશે દહિસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સિદ્ધાર્થ તુકારામ દૂધમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક ધનંજય રાજન રાણા તેના અન્ય બે સાથીદારો સાથે દહિસરના પટેલ એસ્ટેટ પાછળના શાંતાબાઈ મકવાણા કમ્પાઉન્ડની દુર્ગાદાસ ચાલમાં રહેતો હતો. તેઓ પશ્ચિમ બંગાળના કારીગરો હોવાથી ઇમિટેશન જ્વેલરી બનાવે છે. મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે ધનંજયના સાથી શાકભાજી લેવા ગયા હતા ત્યારે ધનંજયે સીલિંગ ફૅન સાથે પંચીયુ બાંધીને ગળાફાંસો ખાધો હતો. સાત વાગ્યે સાથીઓ પાછળ આવ્યા હતા ત્યારે ધનંજયે દરવાજો ન ખોલતાં બારીમાંથી ડોકિયું કરતાં તે ગળાફાંસો ખાધેલો જોવા મળ્યો હતો. આથી તેમણે તરત જ અમારો સંપર્ક કર્યો હતો. અમે બારી તોડી રૂમમાં અંદર પ્રવેશ કરીને દરવાજો ખોલ્યો હતો. ધનંજયના મૃતદેહનું પંચનામું કરીને શતાબ્દી હૉસ્પિટલમાં મોકલાયો છે. તેના પશ્ચિમ બંગાળમાં રહેતા પરિવારને આ બાબતે જાણ કરી છે. જોકે અત્યારે ત્યાંથી ટ્રેનમાં અહીં આવવા રિઝર્વેશન કરાવવું પડતું હોવાથી પરિવારે કહ્યું છે કે અમે અહીથી નીકળીશું ત્યારે તમને જણાવીશું. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. તેનો ફોન પણ અમે ચેક કર્યો, પણ એમાં કઈ વાંધાજનક મળ્યું નથી. આથી અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને તેણે શા માટે આવું અંતિમ પગલું ભર્યું હતું એની તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news dahisar