પ્રદૂષણના નિયમોની ઐસી કી તૈસી કરતા નાયગાવના ૨૮ RMCના પ્લાન્ટના માલિકો સામે પોલીસે ફરિયાદ નોંધી

09 June, 2025 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધુ તપાસ કરવામાં આવતાં મોટા ભાગના પ્લાન્ટ ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. અંતે તમામને તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપીને ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રદૂષણના નિયમોનું યોગ્ય પાલન ન કરવા ઉપરાંત નાયગાવના સસુનવઘર અને માલજીપાડા વિસ્તારમાં ગેરકાયદે રેડી મિક્સ કૉન્ક્રીટ (RMC)ના પ્લાન્ટ ચલાવતા ૨૮ RMC પ્લાન્ટમાલિકો સામે તલાટી સુશીલ મોરાળેએ ગઈ કાલે નાયગાવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૨૫ એપ્રિલે સસુનવઘર અને માલજીપાડામાં સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી એ દરમ્યાન મોટા ભાગના ગુજરાતી RMC પ્લાન્ટધારકો નિયમોનું પાલન કરતા ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરવામાં આવતાં મોટા ભાગના પ્લાન્ટ ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. અંતે તમામને તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપીને ફરિયાદ નોંધવામાં આવી છે.

નાયગાવ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલેક્ટરના આદેશ બાદ તલાટીએ સસુનવઘર અને માલજીપાડામાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી જેમાં મોટા ભાગના RMC પ્લાન્ટચાલકો ગેરકાયદે હોવાની માહિતી મળી હતી એટલું જ નહીં, એ તમામ RMC પ્લાન્ટ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા હોવાનું જોઈને ૨૮ RMC પ્લાન્ટચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં તમામ RMC પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai naigaon air pollution environment news mumbai news