બાળકોએ પિતાને અજાણતાં મદદ કરેલી

16 December, 2012 05:31 AM IST  | 

બાળકોએ પિતાને અજાણતાં મદદ કરેલી



પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ ૧૨ વર્ષની દીકરી તથા છ વર્ષના પુત્રની મદદથી મૃતદેહને સગેવગે કર્યો હોવાના સાંતાક્રુઝ મર્ડરકેસમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ બાળકોને તેમના પિતાએ માતાની હત્યા કરી હોવાની જાણ નહોતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે દીકરી સ્કૂલમાં ગઈ હતી અને દીકરો સૂતો હતો ત્યારે પતિએ પત્નીની હત્યા કરી હતી. હત્યા પાછળના હેતુની પોલીસ તપાસ કરી રહી છે.

પત્ની ગુડિયા ઉર્ફે છાયા સિંહની હત્યા કર્યા પછી આરોપી પતિ શશીરંજન સિંહે ઘરમાંથી તમામ પુરાવાઓનો નાશ કર્યો હતો. દીકરી સ્કૂલમાંથી પાછી ફરે તેમ જ પુત્ર ઊઠે એ પહેલાં તો પત્નીના મૃત શરીરને એક મોટી બૅગમાં મૂકવામાં આવ્યું હતું. નામ ન જણાવવાની શરતે એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘બાળકોને સમજાવ્યાં હોય કે પછી ધમકાવ્યાં હોય એવું પણ બની શકે. તેથી તેઓ પોતાની માતાના મૃત શરીરને લઈ જતાં નજરે પડે છે.’

હાલમાં બન્ને બાળકો બિહારમાં તેમનાં સગાંવહાલાંને ત્યાં છે. પોલીસ આ બળકોને મુંબઈમાં લાવીને તેમનું નિવેદન લેશે. તેઓ નિર્દોષ હોવાથી તેમને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે. આરોપીને ગુરુવારે મુંબઈમાં લાવવામાં આવ્યો હતો. તેને ૨૦ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવશે.

કેસની વિગત
 
૮ ડિસેમ્બરે જુહુ-કોલીવાડામાં એક લાશ મળી હતી. ૭ ડિસેમ્બરે વહેલી સવારે જ તેના પતિએ તેની હત્યા કરી હતી અને બીજા દિવસે પોતાનાં પુત્ર તથા પુત્રી સાથે મૃત શરીરનો નાશ કરવા ગયો હતો જેનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ પણ ‘મિડ-ડે’એ પ્રસિદ્ધ કર્યું હતું.