મુલુંડમાં ૩ મહિનામાં આઠ ડૉગનાં શંકાસ્પદ મૃત્યુથી ખળભળાટ

05 December, 2012 06:16 AM IST  | 

મુલુંડમાં ૩ મહિનામાં આઠ ડૉગનાં શંકાસ્પદ મૃત્યુથી ખળભળાટ




કુદરતી કે કાવતરું? : ગઈ કાલે મુલુંડના લોક એવરેસ્ટ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં મૃત્યુ પામેલા શ્વાન પાસે પ્રાણીપ્રેમી વૈદેહી પ્રભુ (કાળા ડ્રેસમાં) અને તપાસ કરી રહેલી પોલીસ.

(સૌરભ વક્તાણિયા)

મુલુંડ, તા. ૫

છેલ્લા ત્રણ મહિનામાં મુલુંડ (વેસ્ટ)માં આવેલા લોક એવરેસ્ટ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રખડતા આઠ શ્વાનોનાં મોત થયાં હતાં. આ તમામ શ્વાનોનું કથિત વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું. સોમવારે એક મૃત્યુ પામેલો શ્વાન મળી આવ્યો હતો અને ગઈ કાલે બે નાનાં ગલૂડિયાં પણ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. સમગ્ર મામલાની તપાસ મુલુંડ પોલીસ કરી રહી છે.

આ બિલ્ડિંગમાં રહેતાં પ્રાણીપ્રેમી વૈદેહી પ્રભુએ કહ્યું હતું કે ‘નાના ગલૂડિયાં સહિત આ બિલ્ડિંગમાં કુલ ૩૦ ડૉગ હતા. કૉમ્પ્લેક્સની બી-૧  વિંગમાં મોટા ભાગના શ્વાન મૃત્યુ પામેલી હાલતમાં મળી ïઆવ્યા હતા. ૧૦માંથી માત્ર બે જ શ્વાન અત્યારે જીવતા બચ્યા છે. સિમેન્ટ કંપની રોડ પર આવેલા આ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં સાત વિંગ છે. દરરોજ સોસાયટીના રહેવાસીઓ આ શ્વાનોને ખોરાક આપે છે. તેઓ કૉમ્પ્લેક્સના પોડિયમ, પાર્કિંગ લૉટ, બેઝમેન્ટ તથા બાગમાં હોય છે.’

શંકાસ્પદ મૃત્યુ

શ્વાનોને લઈને બિલ્ડિંગના રહેવાસીઓ વચ્ચે ભારે વિવાદ પણ થયો છે. કેટલાકને આ ડૉગ ન્યુસન્સ લાગે છે તો કેટલાક લોકો સલામતી માટે આ ડૉગને રાખવા માગે છે. સોસાયટીની જનરલ બૉડી મીટિંગમાં આ મુદ્દો ચોક્કસ ચગે છે. આ શ્વાનોને હટાવવા માટે સુધરાઈના માણસોને બોલાવવાની માગણી ઊઠી હતી, પરંતુ પ્રાણીપ્રેમીઓના વિરોધને કારણે એ શક્ય ન બન્યું. ભૂતકાળમાં પાંચ શ્વાન મૃત્યુ પામ્યા હતા, પરંતુ એમાં અકસ્માત કે કુદરતી મોત હોવાનું માનવામાં આવ્યું હતું. સોમવારે એક શ્વાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતાં વૈદેહી પ્રભુને શંકા જતાં તેમણે સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી હતી. ઘટનાસ્થળે ટ્રસ્ટના સભ્યો સંજીવ દિઘે, સુનીલ કટારિયા, સાવિત્રી,  દિનેશ તથા હસમુખ પહોંચી ગયાં હતાં. તપાસ બાદ તેમણે તરત જ મુલુંડ પોલીસને જાણ કરતાં શ્વાનને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આવ્યો હતો. ગઈ કાલે ઘરે પાછા ફરતી વખતે સમગ્ર વિસ્તારની તપાસ કરતાં વૈદેહી પ્રભુને ત્રણ મહિનાનાં બે ગલૂડિયાં પણ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

કાર્યવાહીની માગ

સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના ભવાનજી છાડવાએ કહ્યું હતું કે ‘શ્વાનોને ઝેર આપીને મારવામાં આવ્યાં છે. અમે સોસાયટીના ચૅરમૅન તથા પોલીસને તરત મીટિંગ બોલાવવા કહ્યું છે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કૉમ્પ્લેક્સની બહાર વિરોધ-પ્રદર્શન કરીશું તેમ જ બિલ્ડિંગમાં વધુ સંખ્યામાં સીસીટીવી કૅમેરા લગાવવાની માગણી કરીશું.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી. માનેએ કહ્યું હતું કે ‘અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. ડૉગને કોઈ બાહ્ય ઈજા થઈ હોય એવાં કોઈ નિશાન મળ્યાં નથી.’

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન