વિઘ્નહર્તા આડે આવ્યાં વિઘ્નો

13 September, 2012 07:03 AM IST  | 

વિઘ્નહર્તા આડે આવ્યાં વિઘ્નો



(પ્રીતિ ખુમાણ)

ગણેશોત્સવનો તહેવાર આવી પણ ગયો, પણ રસ્તાની હાલત જેવી હતી એવી જ રહી છે. આવા રસ્તાઓને કારણે વિઘ્નહર્તાને પંડાલથી મંડપ સુધી પહોંચાડવા મંડળોને નાકે દમ આવી ગયો અને જે મંડળના ગણપતિ લાવવાના બાકી છે એ રસ્તાની હાલતને જોઈને હેરાન-પરેશાન છે.

વસઈ-વિરાર અને મીરા-ભાઈંદર શહેરમાં રસ્તાઓની હાલત એટલી અત્યંત દયનીય હાલતમાં છે કે લોકો બરાબર ચાલી નથી શકતા તો પછી ગણપતિના પંડાલમાંથી મંડપ સુધી કેમ પહોંચી શકે. આમ ગણપતિ બધાનાં વિઘ્ન દૂર કરે છે એટલે તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, પણ આ વિઘ્નહર્તાને આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના એટલાં વિઘ્ન નડ્યાં છે કે મંડળોના નાકે દમ આવી ગયો હતો તેમ જ જે મંડળોના હજી સુધી ગણપતિ આવ્યા નથી તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

ભાઈંદર-ઈસ્ટના બી. પી. રોડ પર આવેલા ઓમ શ્રી ગર્જના મિત્ર મંડળના કેયૂરે આ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા ગણપતિ અમે રવિવારે મંડપમાં લઈને આવ્યા હતા, પણ આ વર્ષે અમારી જે હાલત થઈ છે એની વાત ન પૂછો. અમે ભાઈંદરના નવઘર રોડથી મૂર્તિ લાવીએ છીએ. ત્યાંથી અહીં અમારા મંડપ સુધી લાવતા અમને વધારેમાં વધારે અઢી કલાક લાગે છે, પણ આ વખતે અમને પાંચ કલાક લાગ્યા હતા. રસ્તા પર પડેલા ખાડાઓ વિઘ્નહર્તાના મોટાં વિઘ્નો બન્યાં હતાં. અમારી આગળ જ બે-ત્રણ મંડળના ટ્રૉલીનાં ટાયરો ખાડામાં અટકાઈ ગયાં હતાં જેથી કરીને પાછળ રહેલાં બધાં જ મંડળોના ગણપતિ રસ્તામાં અટકી ગયા હતા, જેથી ટ્રાફિક જૅમ પણ ભારે થયો હતો. એટલા પૈસા રસ્તાઓ બનાવવામાં મંજૂર કરવામાં આવ્યા છે તો પછી કેમ યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ સિવાય રસ્તા પરનાં વૃક્ષો પણ કાપ્યાં નથી એટલે મોટા ગણપતિ લાવતાં ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે. આ વખતે તો અમે મંડપ સુધી કેમ પણ કરીને મૂર્તિ લાવ્યા છે.’

વસઈ-વેસ્ટના સાંઈનગર ગણેશ મંડળના ગણપતિના પ્રમુખે કહ્યું હતું કે ‘અમે ૧૪ કે ૧૫ સપ્ટેમ્બરે મૂર્તિ મંડપમાં લાવવાના છીએ, પણ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેવી રીતે લાવવી એ સમજાતું નથી. અમે દર વર્ષે નાલાસોપારાના આચોલે રોડ પરથી મૂર્તિ લઈ આવીએ છીએ, પણ રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અમે રૂટ બદલવાના વિચારમાં છીએ. રૂટ બદલીને જો કોઈ થોડો સારો રસ્તો હોય તો ત્યાંથી લાવવી પડશે. પ્રશાસને પહેલેથી જ આવા રસ્તા વિશે કંઈ કરવું જોઈએ તો આજે મંડળોને આવી હેરાનગતિ વેઠવી ન પડતી હોત.’

છેલ્લાં ૨૦ વર્ષથી વિરારમાં પોતાના ઘરે ગણપતિ લાવતા હિમાંશુ મહેતાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૦ વર્ષથી અમે ઘરે જ મૂર્તિ બિરાજમાન કરીએ છીએ. અમે સ્ટેશન પર આવેલા મૂર્તિકાર પાસેથી મૂર્તિ લઈએ છીએ. અમે ભલે મૂર્તિ ઘરે બિરાજમાન કરીએ છીએ, પણ મૂર્તિ મોટી હોય છે, પણ વિરાર સ્ટેશને તો રસ્તાની એટલી ખરાબ હાલત છે કે કોઈ વાત ન પૂછો. અમે કેવી રીતે ધામધમૂથી મૂર્તિ ઘરે લાવીશું ખબર નથી.’