દહીહંડી બની કરોડપતિ

06 August, 2012 03:25 AM IST  | 

દહીહંડી બની કરોડપતિ

૧૦ ઑગસ્ટે યોજાનારી દહીહંડીમાં આ વર્ષે પણ લાખો-કરોડો રૂપિયાનાં ઇનામોની જાહેરાત થઈ ચૂકી છે. થાણેમાં એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડની સંઘર્ષ દહીહંડીમાં એક કરોડ રૂપિયાનાં અને શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની દહીહંડીમાં લાખો રૂપિયાનાં ઇનામોની જાહેરાત થઈ છે. જોકે આ મામલે મુંબઈ આ વખતે ઠંડુંગાર બનીને બેઠું છે. અહીં આ વખતે થોભો અને રાહ જુઓનો ઘાટ ઘડાયો હોય એવું લાગી રહ્યું છે.

થાણેમાં વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડની સંઘર્ષ પ્રતિષ્ઠાનની દહીહંડી ખૂબ જાણીતી છે. આ મંડળની મટકી ફોડવા ગોવિંદાઓ મધમાખીની જેમ ઊમટી આવે છે. આ વખતે ગોવિંદાઓ માટે એક કરોડ રૂપિયાનાં ઇનામ જાહેર કરવામાં આવ્યાં છે. જિતેન્દ્ર આવ્હાડે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વર્ષે ૧૦ થર રચનાર મંડળને ૨૫,૦૦,૦૦૦ રૂપિયા, ૯ થર રચનારને ૧૫,૦૦,૦૦૦ રૂપિયા, ૮ થર રચનારને ૧,૦૦,૦૦૦ રૂપિયા, ૭ થર રચનારને ૨૫,૦૦૦ રૂપિયા અને ૬ થર રચનારને ૧૫,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ દહીહંડી વિશે વધુ વિગતો આજે જાહેર થશે.

થાણેમાં શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાનની દહીહંડીમાં ૫૫,૦૦,૦૦૦ રૂપિયાનાં ઇનામો છે. એમાં ૧૦ થર રચનાર મંડળને ૨૫,૦૦,૦૦૦ રૂપિયા, ૯ થર રચનારને ૧૧,૦૦,૦૦૦ રૂપિયા અને ૮ થર રચનારને ૧,૫૦,૦૦૦ રૂપિયાના ઇનામની જાહેરાત થઈ છે.  થાણેના વર્તકનગરમાં યોજાતી આ દહીહંડીમાં મટકી ફોડવા માટે ૫૦૦ જેટલાં મંડળો આવે એવી શક્યતા છે. એના સેક્રેટરી પૂર્વેશ સરનાઈકે કહ્યું હતું કે ગોવિંદાના આ સાતમા વર્ષે લંડન ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જ્યારે એની થીમ સ્ત્રીભ્રૂણહત્યાનો વિરોધ છે અને આ સંદેશો અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ.

વરલીના જમ્બોરી મેદાનમાં સંકલ્પ પ્રતિષ્ઠાન વતી વિધાનસભ્ય સચિન આહિર અને તેમનાં પત્ની સંગીતાએ આયોજિત કરેલી દહીહંડીમાં અભિનેત્રી ઈશા દેઓલ સ્ટેજ પર લાઇવ પર્ફોર્મન્સ આપશે, જેમાં તે રાધાનો બેલી ડાન્સ રજૂ કરશે. એ સિવાય અભિનેતા હૃતિક રોશન, અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી પણ હાજર રહીને ગોવિંદાઓનો જુસ્સો વધારશે. જોકે એમાં ઇનામોની કશી જાહેરાત નથી કરવામાં આવી. ઘાટકોપરમાં ફેમસ બનેલી એમએનએસના વિધાનસભ્ય રામ કદમની દહીહંડીની હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી.

થાણેમાં શિવસેનાના વિધાનસભ્ય રાજન વિચારે પણ મસુંદા તળાવ પાસે દહીહંડીનું આયોજન કરે છે અને તેઓ મટકી ફોડવાનો પ્રયાસ કરનારા તમામ ગોવિંદાઓને ઇનામ આપે છે. નાના છોકરાઓ એક કે બે થર રચીને મટકી ફોડવાનો પ્રયાસ કરે તો તેમને પણ ઇનામ આપવામાં આવે છે. તેઓ તાતા મેમોરિયલ હૉસ્પિટલના યુવા કૅન્સર પેશન્ટોને પણ આ મટકી ફોડવા આમંત્રણ આપે છે.

કૉન્ગ્રેસના સંસદસભ્ય સંજય નિરુપમ પણ બોરીવલીમાં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ પર યોજાતી મટકી સાથે સંકળાયેલા છે. આ વખતે કોરા કેન્દ્રમાં ભજનસમ્રાટ અનુપ જલોટા અને માલિની અવસ્થી ભજન રજૂ કરશે તથા ટીવી-પ્રોડ્યુસર ગજેન્દ્ર સિંહ મનોરંજન કાર્યક્રમ રજૂ કરશે તેમ જ જુહુના ઇસ્કૉન મંદિરના પૂજારીઓ ધાર્મિકવિધિ કરશે.

કૉન્ગ્રેસના નેતા અને મિનિસ્ટર નારાયણ રાણેના પુત્ર અને નેતા નીતેશ રાણે આ વખતે ગોવિંદાની ટીમોને હેલ્મેટ આપવાના છે.

ગોવિંદાઓની ટીમોની જોરદાર તૈયારી

મુંબઈમાં ગોવિંદા મંડળોની સંખ્યા ૬૦૦ જેટલી છે અને એમણે મટકી ફોડવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે પણ સૌની નજર જોગેશ્વરીના જય જવાન મિત્ર મંડળ પર રહેશે, કારણ કે તેમણે બે વાર થાણેમાં સંઘર્ષની મટકી ફોડી હતી. ગયા વર્ષે તેમણે ૯ થર રચ્યા હતા અને ૧૫,૦૦,૦૦૦ રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું. જોકે ગયા વર્ષે સ્પેનની કેટાલોનિયન કેસલર્સ નામના ગોવિંદાઓની ટીમ થાણે આવી હતી અને તેમણે પણ મટકી ફોડવાના પ્રયાસરૂપે ૮ થર રચ્યા હતા.

ગોવિંદાઓની ફિલ્મ હવે ટીવી પર

થાણેમાં ગયા વર્ષે આવેલી સ્પેનની ગોવિંદાઓની ટીમે સંઘર્ષ દહીહંડી ફોડવા માટે પ્રયાસ કરનારા ગોવિંદાઓની એક ફિલ્મ બનાવી હતી જે ‘હ્યુમન ટાવર’ના નામે સ્પેનનાં ૮ થિયેટરોમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ હવે ૯ ઑગસ્ટે હિસ્ટરી ચૅનલ પર રાત્રે દર્શાવવામાં આવશે એવું સંઘર્ષના જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું. આ ફિલ્મને ભારતની લગભગ તમામ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે.