હાથમાં સ્ટૅમ્પવાળા ૧૫ લોકો સીએસએમટીથી પકડાયા

22 March, 2020 10:39 AM IST  |  Mumbai Desk | Vishal Singh

હાથમાં સ્ટૅમ્પવાળા ૧૫ લોકો સીએસએમટીથી પકડાયા

પ્રતીકાત્મક તસવીર

જીઆરપીએ સીએસએમટી રેલવે સ્ટેશન પર ગઈ કાલે અન્ય રાજ્યોમાં જઈ રહેલી ૧૫ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. મુંબઈ ઍરપોર્ટ પરથી સીએસએમટી આવેલા ૧૫ જણમાં એક મહિલા પણ હતી.

સીએસએમટી જીઆરપીએ જણાવ્યા મુજબ તેઓ સ્ટેશન પર અને આસપાસમાં કોઈ ક્વૉરન્ટીન્ડ વ્યક્તિ ટ્રેન પકડી નથી રહી એની તપાસ કરી રહ્યા હતા એ સમયે સ્ટેશન પરિસરમાં આ ૧૫ લોકો પર પૅટ્રોલિંગ કરતી ટીમનું ધ્યાન પડ્યું હતું. તરત જ આ બધાને ભીડથી અલગ કરી ઍમ્બ્યુલન્સમાં વરલીના ક્વૉરન્ટીન સેન્ટર પર મોકલવામાં આવ્યા હોવાનું સીએસએમટી જીઆરપીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હેમંત બાવધનકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

જીઆરપી અધિકારીએ જણાવ્યું હતું કે દુબઈથી આવેલા આ તમામ એકમેકથી અજાણ્યા હતા અને કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ભોપાલ એમ જુદાં-જુદાં સ્થળોએ જવા માટે ટ્રેન પકડવા સીએસએમટી આવ્યા હતા. ઍરપોર્ટ પર તેમણે પોતે મુંબઈમાં ઘર ધરાવતા હોવાનું ખોટું કહ્યું હતું.

પાલઘરમાં લૉકડાઉન દરમ્યાન ૧૨૩ જણ સામે ગુના નોંધાયા

જગતમાં ૧૧,૦૦૦ લોકોના જીવ લેનારો કોરોના વાઇરસ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી એને વધુ પ્રસરતો રોકવા માટેનાં પગલાં સરકાર, પ્રશાસન દ્વારા છેલ્લા પાંચેક દિવસથી લેવાઈ રહ્યાં છે, જેના ભાગરૂપે પાલઘર જિલ્લામાં જીવનજરૂરિયાત સિવાયની તમામ વસ્તુઓની દુકાનો, ઑફિસો સહિતની તમામ વસ્તુઓ બંધ કરીને લૉકડાઉન કરાયું છે. આમ છતાં અહીંના લોકો સમજતા ન હોવાથી પાલઘર પોલીસે ચાર દિવસમાં ૧૨૩ દુકાનદારો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

પાલઘર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ સિંહે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સંપર્કથી ફેલાતા કોરોના વાઇરસનો સામનો કરવા માટે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે એ જરૂરી છે. આ માટે અમે ૧૬ માર્ચથી જીવનજરૂરિયાતવાળી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મૉલ્સ લૉકડાઉન કર્યાં છે. આમ છતાં જિલ્લાના વિરાર, પાલઘર, નાલાસોપારા, વસઈ સહિતના વિસ્તારમાં કપડાંથી માંડીને અન્ય વસ્તુઓની દુકાનો ખુલ્લી હોવાનું જણાઈ આવતાં અમે પગલાં લઈ રહ્યા છીએ. ૧૬થી ૨૦ માર્ચ દરમ્યાન કાયદાનો ભંગ કરનારા આવા ૧૨૩ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.’

mumbai vishal singh mumbai news coronavirus covid19