14 August, 2020 10:45 AM IST | Mumbai Desk | Mumbai correspondent
(ફાઇલ ફોટો)
રાજ્યનાં જળાશયોમાં છેલ્લા અઠવાડિયામાં પાણીના સ્તરમાં ક્રમશઃ વધારો થયા પછી એક જ દિવસમાં પાણીનો સ્ટૉક ૧૫ દિવસ સુધી ચાલી શકે એટલો વધ્યો. તમામ તળાવોમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે બુધવારના પંચાવન ટકાથી વધીને જળાશયોમાં પાણીનો સ્ટૉક ગુરુવારે ૬૦ ટકા થયો હતો.
મુંબઈગરાઓ માટે તળાવની સપાટીમાં તીવ્ર વધારો થવો એ કંઈક અંશે સારા સમાચાર છે. શહેરના કેટલાક ભાગોમાં ભારે ઝાપટાં પડ્યાં હતાં જ્યારે કે નાશિક અને થાણેના કૅચમેન્ટ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. ઊંચાઈ પર આવેલા વૈતરણા જેમાં તમામ તળાવોની તુલનામાં સૌથી ઓછો સ્ટૉક (૩૭ ટકા) હતો, એમાં ૧૪૮ મિમી વરસાદ પડતાં એક જ દિવસમાં પાણીના સ્તરમાં ૪૨ ટકાનો વધારો થયો છે. અન્ય તળાવોનો સ્તર પણ ઝડપથી વધ્યો છે. પાણીના સ્ટૉકમાં 70,000 લિટર પાણીનો વધારો થયો છે, જે લગભગ ૧૫ દિવસ માટે પૂરતો છે.
કુલ પાણીનો જથ્થો 8.70 લાખ મિલ્યન લિટર છે, જે કુલ ક્ષમતાના ૬૦ ટકા છે. ગયા વર્ષે આ જ તારીખે પાણીનો સ્ટૉક 92 ટકા કરતાં વધુ હતો.