05 September, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રસ્તાવિત વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ ટ્રાન્સપોર્ટ કૉરિડોરના રૂટ પર સરકારી વળતર મેળવવાના ઇરાદાથી વસઈ-ઈસ્ટના પોમણમાં ગેરકાયદે રીતે ઊભાં કરવામાં આવેલાં આશરે ૧૨૦૦ જેટલાં બોગસ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.
જમીન-સંપાદનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે સરકાર પાસેથી મોટા વળતરનો દાવો કરી શકાય એ માટે લૅન્ડ-માફિયાઓએ આ જમીનો પર ગેરકાયદે બાંધકામો કર્યાં હોવાની ફરિયાદો મળ્યા બાદ પ્રશાસને છેલ્લા ૩ દિવસ દરમ્યાન આ મોટી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા ભાગનાં બાંધકામો માત્ર ૪ દીવાલો ઊભી કરીને બનાવવામાં આવ્યાં હતાં, જેથી એને રેસિડેન્શિયલ મકાનો તરીકે દર્શાવીને યોજનાથી પ્રભાવિત વ્યક્તિ તરીકે વળતર મેળવી શકાય.
આ વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોર વસઈ-ઈસ્ટના પોમણ વિસ્તારમાંથી પસાર થવાનો છે. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે સ્થાનિક અધિકારીઓની કથિત મિલીભગતથી આમાંથી કેટલાંક બોગસ બાંધકામ પર પ્રૉપર્ટી-ટૅક્સ પણ આકારવામાં આવ્યો હતો. પ્રશાસને આ મામલે સખત વલણ અપનાવી સમગ્ર વિસ્તારને અતિક્રમણમુક્ત કર્યો છે.