29 November, 2021 08:06 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પરમબીર સિંહ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી રહેલા ચાંદીવાલ આયોગ સમક્ષ હાજર થયા હતાં. પૂછપરછ બાદ ચાંદીવાલ કમીશનને પરમબીર સિંહ વિરુદ્ધ જારી કરેલા જામીનપાત્ર વોરન્ટને રદ કર્યો છે. આયોગે પરમબીર સિંહને 15000 હજારનો દંડ ફટકાર્યો છે, જે મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરવામાં આવશે.
તત્કાલીન ગૃહપ્રધાન અને રાકાંપા નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની તપાસ માટે આ વર્ષે માર્ચમાં એક સમીતિની રચના કરવામાં આવી હતી. પેનલે અગાઉ સિંહને અનેક પ્રસંગોએ હાજર ન થવા બદલ દંડ ફટકાર્યો હતો અને તેની સામે જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એન્ટિલિયા બોમ્બ ધડાકાની ઘટના બાદ માર્ચમાં પરમબીર સિંહની મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી બદલી કરવામાં આવી હતી. ટ્રાન્સફર થયા બાદ પરમબીરે દેશમુખ પર પોલીસ અધિકારીઓને શહેરના બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને રૂ. 100 કરોડ વસૂલવાનું કહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
જ્યારે રિકવરી કેસમાં પરમબીર સિંહ ઘણા દિવસો સુધી હાજર થયો ન હતો ત્યારે અહીંની એક કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો. કોર્ટના આદેશ બાદ જુહુ સ્થિત તેમના ફ્લેટની બહાર નોટિસ ચોંટાડવામાં આવી હતી.