16 September, 2021 06:34 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનુ સૂદ
બૉલિવૂડ અને સાઉથની ફિલ્મોના અભિનેતા સોનુ સૂદ આ દિવસોમાં મુશ્કેલીમાં છે. આવકવેરા કેસમાં અભિનેતાની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે સવારે ફરી એક વખત આવકવેરા વિભાગની ટીમ સર્વે માટે સોનુ સુદના ઘરે પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓ સોનુના એકાઉન્ટ બુક અને કમાણીમાંથી થયેલા તમામ ખર્ચની તપાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા બુધવારે પણ આવકવેરાની ટીમે સોનુ સૂદને લગતી 6 જગ્યાઓ પર સર્વે કર્યો હતો. ત્યારથી અભિનેતાના ચાહકોમાં હલચલ મચી ગઈ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ સોનુને તેના કાર્યાલય, ઘર અને તેની સાથે સંબંધિત સ્થળો પર સર્વે પર નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેઓ તેમની સાથે છે.
સોનુ સૂદના સમર્થનમાં નિવેદન આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના એક ટ્વિટમાં લખ્યું હતું કે, `સત્યના માર્ગ પર લાખ મુશ્કેલીઓ છે, પરંતુ જીત હંમેશા સત્યની જ થાય છે. સોનુ સૂદ જી સાથે, ભારતના લાખો પરિવારોની પ્રાર્થના છે જેમને મુશ્કેલ સમયમાં સોનુ જીનો સહયોગ મળ્યો.`
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાન તેમના સામાજિક કાર્ય માટે ખૂબ જ લોકપ્રિય હતા. સોનુએ લોકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી હતી. ત્યારથી શરૂ થયેલી મદદની પ્રક્રિયા હજુ પણ યથાનત છે. દિલ્હી સરકારે સોનુને મેન્ટરશિપ પ્રોગ્રામનો ચહેરો બનાવ્યો હતો.