ઍરપોર્ટ પર બૉમ્બ શબ્દ બોલનારા ટ્રાવેલ કંપનીના ગુજરાતીની ધરપકડ

01 July, 2019 09:23 AM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

ઍરપોર્ટ પર બૉમ્બ શબ્દ બોલનારા ટ્રાવેલ કંપનીના ગુજરાતીની ધરપકડ

સહાર ઍરપોર્ટ પર ફ્લાઇટ બોર્ડ પહેલાં સિક્યૉરિટી ચેક વેળા સુરક્ષા અધિકારીઓની પદ્ધતિથી ચીડાઈને સરતચૂકથી ‘બૉમ્બ’ શબ્દ બોલનારા ટ્રાવેલ કંપનીના જનરલ મૅનેજર ૩૬ વર્ષના અકુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે સિક્યૉરિટી ચેક દરમ્યાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સના જવાનો સાથે વાતચીતમાં અસાવધપણે ‘બૉમ્બ’ શબ્દ બોલવાને કારણે નોર્વે જવાની ફ્લાઇટને બદલે વીકેન્ડ જેલમાં પસાર કરવાની અકુલ પટેલને ફરજ પડી હતી.

બિઝનેસ ટ્રિપ માટે નોર્વે જવા વિમાનમથકે પહોંચ્યા પછી સીઆઇએસએફના જવાનોની વિગતવાર અને ધીમી ગતિની તપાસથી અકુલ પટેલ તથા અન્યો અસ્વસ્થ થયા હતા. સીઆઇએસએફના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘ચીડાયેલા અકુલ પટેલે જવાનોને કહ્યું હતું કે ‘હું માનવ બૉમ્બ છું. મને ઝડપથી તપાસો.’ એ વખતે અમે તેમને એ શબ્દ બોલવા બદલ માફી માગતો પત્ર લખી આપવા જણાવ્યું હતું. તેમણે માફી માગતા પત્ર પર સહી પણ કરી હતી. ‘માનવ બૉમ્બ’ શબ્દો સાંભળીને તેમની પાછળ ઊભેલા અન્ય પ્રવાસીઓ ડરી ગયા હતા.’

જોકે અકુલ પટેલના સાથી સુમિત શરનાએ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘સિક્યૉરિટી ચેકમાં વિલંબને કારણે અકુલ પટેલે કહ્યું હતું કે ‘હું કંઈ માનવ બૉમ્બ નથી અને મારા સામાનમાં પણ બૉમ્બ નથી. એ વખતે અધિકારીઓએ તેમને બાજુ પર લઈ જઈને તેમનો સામાન તપાસ્યો હતો. ત્યાર પછી માફી માગતા પત્ર પર તેમને સહી કરાવવામાં આવી હતી.’

માફી માગતા પત્ર પર સહી કર્યા પછી અકુલ પટેલ ફ્લાઇટ બોર્ડ કરવા માટે આગળ વધતા હતા એટલા વખતમાં સુરક્ષા અધિકારીઓએ તેમના સિનિયર્સને ઉક્ત બાબતની જાણ કરી હતી. ત્યાર પછી અકુલ પટેલને ફ્લાઇટ બોર્ડ કરતાં રોકીને તેમની ટિકિટ કૅન્સલ કર્યા બાદ તેમને સહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓના તાબામાં સોંપ્યા હતા.

સીઆઇએસએફના પ્રવક્તા હિમેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં ‘બૉમ્બ’ અને સુસાઇડ બૉમ્બ જેવા શબ્દપ્રયોગો પ્રતિબંધિત છે. અમે કાયદાના સર્વસામાન્ય પ્રોસીજર મુજબ અકુલ પટેલની સામે પગલાં લીધાં છે. અમારે માટે તેમનું બૅકગ્રાઉન્ડ તપાસવું અનિવાર્ય બને છે.’

આ પણ વાંચોઃ ભારે વરસાદથી મુંબઈમાં 'લાઈફ લાઈન' પર અસર, વેસ્ટર્ન અને હાર્બર લાઈન છે ધીમી

અકુલ પટેલના પિતા પંકજ પટેલે જણાવ્યું હતું કે ‘મારો દીકરો કાયદાને અનુસરનારો નાગરિક છે. તે ગેરકાયદે કામ ક્યારેય ન કરે. જો તેણે આવું કંઈ કહ્યું હોય તો તપાસ પ્રક્રિયા પર આધારિત કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તેને જેલમાં રાખવાથી તેની કારકિર્દી બરબાદ થશે.’

mumbai news Crime News