29 March, 2021 08:47 AM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો બાંગ્લાદેશ પ્રવાસ પુર્ણ થયા બાદ અહીં હિંસા ફાટી નીકળી છે. કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિન્દુ મંદિરો પર હુમલો કરી દીધો છે. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ નિશાન બનાવાઈ હતી. મીડિયા અહેવાલો પ્રમાણે, સમગ્ર બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ સાથે હિંસા શરૂ થઈ હતી. તેમાં જણાવાયું છે કે, મોદીની બાંગ્લાદેશ મુલાકાત વિરુદ્ધ ઈસ્લામિક જૂથોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણ થતાં 12 લોકોના મોત થયા છે.
બાંગ્લાદેશના 50મા સ્વતંત્રતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પહોંચ્યા હતા. આ દરમિયાન શુક્રવારે રાજધાની ઢાકામાં પોલીસે વિરોધ કરતા લોકો પર અશ્રુવાયુના ગોળા અને રબર બુલેટ પણ છોડ્યા હતા, જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ હતી. બાદમાં શનિવારે હજારોની સંખ્યામાં લોકો ચટગાંવ અને ઢાકાના રસ્તાઓ પર દેખાવો કરવા ઉતર્યા હતા, જ્યારે રવિવારે હિફાજત-એ-ઈસ્લામ સંગઠનના કાર્યકરોએ પૂર્વ જિલ્લા બ્રાહ્મણબરિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો હતો. તેમણે અનેક વાહનો અને સરકારી ઓફિસોમાં પણ આગા ચાંપી હતી, ત્યારે અનેક લોકોને ગંભીર ઈજા થઈ હતી..