23 February, 2021 02:35 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ભારતે ફરી એકવાર દરિયાદિલી દર્શાવતા પાકિસ્તાનને પોતાની વાયુસીમામાં પ્રવેશવાની પરવાનગી આપી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને શ્રીલંકાના પ્રવાસ પર જવા માટે ભારતે પોતાના વાયુક્ષેત્રના ઉપયોગની પરવાનગી આપી દીધી છે.
ઇમરાન ખાન શ્રીલંકાના દ્વિદિવસીય પ્રવાસ પર જઈ રહ્યા છે. જણાવવાનું કે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન શ્રીલંકન સંસદને સંબોધિત કરવાના હતા. પણ તેમના નાપાક ઇરાદાને ધ્યાનમાં રાખતા તેમના ભાષણને રદ્દ કરી દેવામાં આવ્યું. શ્રીલંકાએ ભારત સાથેના સંબંધોમાં ટકરાવથી બચવા માટે ભાષણ રદ્દ કરી દીધું. આ સંબોધન 24 ફેબ્રુઆરીના રોજ થવાનું હતું.
શ્રીલંકન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત સાથે સંબંધ બગડવાના ભયે શ્રીલંકાએ પાકિસ્તાની પીએમના મનસૂબા પર પાણી ફેરી વાળ્યું છે. આ પહેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 માર્ચ 2015માં શ્રીલંકાની સંસદને સંબોધિત કરી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓમાં શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી ભાવનાઓ જન્મી છે કારણકે બૌદ્ધ લોકો મસ્જિદોમાં પ્રાણીઓની બલિ જેવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે આશા દર્શાવવામાં આવી કે ઇમરાન ખાને શ્રીલંકાના પ્રવાસ દરમિયાન મુસ્લિમ કાર્ડનો ઉપયોગ કર્યો હોત. તેમણે ગયા વર્ષે અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન પણ આ પ્રકારના જ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.