23 February, 2020 07:31 AM IST | Washington
મોદી-ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીના રોજ બે દિવસ માટે ભારત પ્રવાસ પર આવવાના છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દા પર ચર્ચા કરશે. વાઈટ હાઉસે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે અમેરિકા, ભારતની લોકતાંત્રિક પરંપરાઓ અને સંસ્થાનોનું ખૂબ જ સન્માન કરે છે.
એક વરિષ્ઠ અધિકારીએ કૉન્ફરન્સ કોલમાં પત્રકારોને કહ્યું ‘અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સાર્વજનિક અને અંગત એમ બન્ને ભાષણ દરમ્યાન લોકતંત્રની પરંપરાઓ અને ધાર્મિક સ્વતંત્રતાના વિષય પર ચર્ચા કરશે. તેઓ આ મુદ્દાને ઉઠાવશે, ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો કે જે પ્રશાસન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.’
ટ્રમ્પના સીએએ-એનઆરસી પર વડા પ્રધાન મોદી સાથે વાત કરવાની યોજના સાથે સંકળાયેલા એક પ્રશ્નના જવાબમાં અધિકારીએ આ અંગેની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારણા કાયદા પર હજી પણ દેશમાં કેટલાક સ્થળોએ વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે.
ટ્રમ્પ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સીએએ-એનઆરસી સાથે સંકળાયેલા પ્રશ્ન પર કહ્યું કે ‘તમે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તેમાંથી કેટલાક મુદ્દાઓ પર અમે પણ ચિંતિત છીએ. મારું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડા પ્રધાન મોદીની સાથે બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરશે.’
અધિકારીએ કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક લઘુમતી ધરાવતા સમાજના સન્માન અને તમામ ધર્મોની સાથે સમાન વ્યવહાર જેવી બાબતોનો સમાવેશ ભારતીય કાયદામાં થાય છે. આવી કેટલીક બાબતો છે કે જે રાષ્ટ્રપતિ માટે મહત્વપૂર્ણ રહેશે અને મને વિશ્વાસ છે કે તેઓ આ મુદ્દાઓ પર ચર્ચા જરૂરથી કરશે.