26 March, 2024 04:27 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના (Baltimore Bridge Collapses) બની છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર એક કન્ટેનર જહાજ પેટાપ્સકો નદી પર બનેલા ઐતિહાસિક પુલ ફ્રાન્સિસ સ્કોટ કી સાથે અથડાયું હતું જેના કારણે આ બ્રિજ ક્ષણભ્રમ તૂટી પડ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં બ્રિજ પર જઈ રહેલી અનેક કાર નીચે નદીમાં પડી ગઈ હતી, જેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયાં હોવાના અહેવાલ છે.
જહાજમાં પણ લાગી આગ અને તે પણ ડૂબી ગયું પાણીમાં
આ મોટી દુર્ઘટના (Baltimore Bridge Collapses) યુએસ સમય અનુસાર સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ લગભગ 1.30 વાગ્યે બની હતી. જ્યારે જહાજ પુલ સાથે અથડયું હતું ત્યારબાદ જહાજમાં આગ લાગી ગઈ હતી અને તે પણ પાણીમાં ડૂબી ગયું હતું.
20 લોકો નદીમાં પડી ગયા હોવાની આશંકા
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે જહાજ બ્રિજ સાથે અથડયું હતું ત્યારે ભારે ટક્કર થવાને કારણે જહાજમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ પાણીમાં વહેવા લાગ્યું હતું. આશરે 20 જેટલા લોકો અકસ્માતમાં પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. ડૂબી ગયેલા લોકોને શોધવા માટે ડાઇવર્સ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કેટલો જૂનો હતો આ બ્રિજ? શહેર માટે તે કેટલો મહત્વનો હતો?
Baltimore Bridge Collapses: તમને જણાવી દઈએ કે પટાપ્સકો નદી પરનો આ બ્રિજ વર્ષ 1977માં લોકો માટે ખોલવામાં આવ્યો હતો. આ બ્રિજ શહેર માટે ખૂબ જ મહત્વનો હતો. આ બ્રિજ બાલ્ટીમોર બંદર સાથે જોડાયેલ પૂર્વ કિનારાનું બંદરનું કેન્દ્ર છે. તમને જણાવી દઈએ કે આ બ્રિજનું નામ `ધ સ્ટાર-સ્પૅન્ગલ્ડ બૅનર`ના લેખકના નામ પરથી પાડવામાં આવ્યું છે. બાલ્ટીમોરના ફાયર વિભાગનમાં નિર્દેશક કેવિન કાર્ટરાઇટે કહ્યું હતું કે આ અપત્કાલિન સ્થિતિ છે. તેણે જણાવ્યું હતું કે હાલ તો જે લોકો પાણીમાં પડી ગયા છે તેવન બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ કહ્યું કે હાલ લોકોની તપાસ ચાલી રહી છે. હાલ કેટલા લોકો પ્રભાવિત થયાં છે તે વિશે વાત કરવી અઘરી છે.
અનેક લોકો ડૂબી ગયા હોવાની આશંકા
મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે આ દુર્ઘટના (Baltimore Bridge Collapses) બની પછી સતત ફોન કોલ ચાલુ થઈ ગયા હતા. ક્ષણભરમાં જ 911 જેટલા કોલ પ્રાપ્ત થયાં હતા. જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું. જ્યારે જહાજ અથડાયું ત્યારે બ્રિજ પર ટ્રેલર ટ્રક ચાલી રહ્યું હતું. જેને કારણે અનેક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં બ્રિજ પરથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજ પરના ચાકદળના તમામ લોકો સુરક્ષિત છે.