12 September, 2020 02:54 PM IST | Moscow | Agency
ભારત-ચીન
ભારત અને ચીન વચ્ચે જારી રહેલા તણાવ વચ્ચે બન્ને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે થયેલી વાતચીત પછી એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર ટેન્શન ઓછું કરવા માટે પાંચ મુદ્દાઓ પર સહમતી સધાઈ છે. ભારતે ચીનને કહ્યું હતું કે ચીની સેનાની ઉશ્કેરણીપૂર્વકની કાર્યવાહી દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન દર્શાવે છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીની વિદેશ પ્રધાન વાંગ ચીની વચ્ચે મૉસ્કોમાં બે કલાક લાંબી ચાલેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી બન્ને દેશો સીમા વિવાદ ઘટાડવા માટે સહમત થયા છે. બન્ને દેશો વચ્ચે પાંચ સૂત્રીય ફૉર્મ્યુલા પર સહમતી સધાઈ છે. બન્ને દેશો વચ્ચે આ બેઠકમાં પાંચ સૂત્રીય ફૉર્મ્યુલા પર વાત થઈ, જેના હેઠળ તણાવને ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીમા પર ૧૯૭૫ બાદ પહેલીવાર ગોળીબારની ઘટના બની છે. તેમ છતાં બન્ને દેશો તરફથી કહેવાયું છે કે બન્ને પ્રધાનોએ ખૂલીને બોર્ડર વિવાદ પર વાત કરી અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
બન્ને દેશોએ પોતાના નેતાઓના માર્ગદર્શન હેઠળ ચાલીને વાતચીતને આગળ વધારવી જોઈએ અને મતભેદને વિવાદમાં બદલવો ન જોઈએ.
બોર્ડર પર હાલની પરિસ્થિતિ બન્ને દેશોના પક્ષમાં નથી, તેવામાં સેનાઓ વાતચીત ચાલુ રાખશે અને સીમા પર હાલતને બરાબર કરવાનો માહોલ તૈયાર કરવામાં આવશે.
બન્ને દેશો ભારત-ચીન વચ્ચેની સીમાને લઈ હાલની સમજૂતીનું પાલન કરશે અને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરશે.
બોર્ડર વિવાદને લઈ વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે પણ વાત ચાલુ રહેશે.
માહોલમાં શાંતિ સ્થાપિત થયા બાદ બન્ને દેશ પોતાના સંબંધોને આગળ વધારવા કામ કરશે.