08 June, 2026 09:58 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળનું દૃશ્ય
સુરતમાં રવિવારે સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલી જ્વેલરી સાફ કરવાની એક ફૅક્ટરીમાં ઝેરી ગૅસને કારણે ૪ લોકોનાં કરુણ મોત થયાં છે, જેમાં ૩ શ્રમિકો અને એક સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માત એ સમયે થયો જ્યારે એક શ્રમિક જમીનની નીચે બનેલી એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ટૅન્કની સફાઈ કરી રહ્યો હતો. ઝેરી ગૅસ એટલો ખતરનાક હતો કે ચારેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
કઈ રીતે બની ઘટના?
જ્વેલરી સાફ કર્યા બાદ નીકળતો કેમિકલયુક્ત કચરો ETP ટૅન્કમાં એકઠો કરવામાં આવતો હતો. રવિવારે સવારે સફાઈ દરમ્યાન એક શ્રમિક અચાનક ટૅન્કમાં પડીને બેહોશ થઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે અન્ય બે શ્રમિકો અંદર ઊતર્યા હતા અને તેઓ પણ બેહોશ થઈ ગયા હતા. આ જોઈને સુપરવાઇઝરે તાત્કાલિક ફાયર-બ્રિગેડને કૉલ કર્યો હતો, પરંતુ ફાયર-બ્રિગેડની ટીમ પહોંચે એ પહેલાં સુપરવાઇઝર પણ તેમને બચાવવાના ચક્કરમાં ટૅન્કમાં ખાબક્યો હતો.
CCTV કૅમેરાનાં ફુટેજની તપાસમાં જાણવા મળ્યું હતું કે સફાઈ દરમ્યાન કોઈ પણ સેફ્ટી- ઇક્વિપમેન્ટ્સ પહેરવામાં આવ્યાં નહોતાં.