સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી ગુજરાતમાં શું-શું બંધ થઈ શકે છે?

24 November, 2020 08:38 AM IST  |  Rajkot | Rashmin Shah

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી ગુજરાતમાં શું-શું બંધ થઈ શકે છે?

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી ગુજરાતમાં શું-શું બંધ થઈ શકે છે?

લૉકડાઉન ખૂલ્યા પછી કોરોના-સંક્રમણ કેટલું ઝડપથી વધી રહ્યું છે અને એ કેટલું ઘાતક બની શકે છે એનો અંદાજ ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં ચાર રાજ્યોની ઝાટકણી કાઢી એના પરથી લગાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યને તો પ્રશ્ન પણ પૂછ્યો કે વધી રહેલા કોરોના-સંક્રમણ વચ્ચે કેવી રીતે મૅરેજ માટેની પરમિશન આપવામાં આવે છે?
સુપ્રીમ કોર્ટને ચાર સ્ટેટ દ્વારા જવાબ તો શુક્રવારે આપવામાં આવશે, પણ એ પહેલાં ગઈ કાલે જ આ ઝાટકણી પછી ગુજરાત સરકાર દ્વારા તાકીદના પગલારૂપે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં કઈ-કઈ પરમિશન રદ કરી શકાય છે એ બાબતની વિચારણા થઈ હતી. જો સુપ્રીમ કોર્ટને જવાબ ગળે નહીં ઊતરે તો ગુજરાત સરકાર દ્વારા મૅરેજની પરમિશન રદ કરી નાખવામાં આવે એવી પૂરી સંભાવના છે. ગઈ કાલે મોડી સાંજે ગુજરાત સરકારે લગ્ન સમારોહમાં ૧૦૦ મહેમાનોથી વધુને અલાઉ નહીં કરવાનો તથા સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી ઓછા ગૅસ્ટને પરમિશન આપવાનો નિર્ણય તો લઈ જ લીધો હતો. આ નિર્ણયનો અમલ મંગળવાર (આજે) મધરાતથી કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ પણ રોકવામાં આવે એવી પણ સંભાવના છે. ગુજરાત રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલું છે. આ ત્રણેત્રણ સ્ટેટમાં અવરજવર બંધ કરવા ઉપરાંત ગુજરાતમાં ફરી એક વાર રેસ્ટોરાં, પાનના ગલ્લા અને ચાની હોટેલો પણ બંધ કરવામાં આવી શકે છે. આ એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે લોકોની ભીડ રહે છે. ત્યાં રહેનારાઓ સુપરસ્પ્રેડરની ભૂમિકા ભજવે છે અને સંક્રમણ આગળ વધારે છે, જેને રોકવા માટે આ સ્ટેપ લેવામાં આવે એવી પૂરી શક્યતા છે.

વધતું કોરોના-સંક્રમણ અને સુપ્રીમ કોર્ટની ઝાટકણી વચ્ચે વધુ એક વાર ગુજરાતમાં કરફ્યુ કે લૉકડાઉન લાગુ કરવામાં આવે એવી શક્યતા પણ નકારી શકાય નહીં, પણ એ આવે એ પહેલાં ફિલ્મ અને ટીવી-સિરિયલના શૂટ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવે એવી પણ પૂરતી સંભાવના છે.

ગુજરાત સરકારની બરાબર ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે:કોરોના બેકાબૂ છતાં લગ્નોની છૂટ?

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં ત્રણ રાજ્યને શુક્રવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ આપવાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હી : (જી.એન.એસ.) દેશમાં જેવી રીતે ફરી એકવાર કોરોના વાઇરસે દસ્તક આપી છે તેના પર સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા મામલા અને કોરોનાથી મૃત્યુ પામનારાના મૃતદેહ સાથે મિસ-હેન્ડલિંગ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં આ સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ સરકાર પાસે કોરોના સંક્રમણની હાજર સ્થિતિથી નીપટવા માટે શું પગલાં ભર્યાં તેની જાણકારી માગી છે. કોર્ટે આ રાજ્યો પાસે સમગ્ર મામલે સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે ગુજરાત અને દિલ્હી સરકારને કોરોના સંક્રમણને પગલે ખરાબ થયેલી સ્થિતિને લઈ ફટકાર લગાવી છે. ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. જસ્ટિસ શાહે કહ્યું કે કોરોના સંક્રમણના વધતા કેસ છતાં ગુજરાતમાં લગ્ન સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં છૂટ આપવામાં આવી છે. અહીં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. તમારી પૉલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે? દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો પાસે કોરોનાથી નીપટવા માટે ઉઠાવવામાં આવેલાં પગલાંની જાણકારી માગી છે અને એક સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આગામી સમયમાં રાજ્ય શું પગલાં ઉઠાવશે અને તેમને કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી શું મદદ જોઈશે તેનો રિપોર્ટ દાખલ કરે. કોર્ટે રાજ્યોને શુક્રવાર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું. સાથે જ કોર્ટે કહ્યું કે રાજ્યોએ ડિસેમ્બર અને આગામી મહિના માટે તૈયાર રહેવાની જરૂરત છે કેમ કે સ્થિતિ વધુ બગડી શકે છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-૧૯ના કેસ વધુ હોવા છતાં લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે.

rajkot gujarat Rashmin Shah supreme court