11 May, 2019 03:04 PM IST |
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં અત્યારે ભારે ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. ત્યારે આ ગરમીમાં હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી માહિતી અનુસાર 14 થી 17મે સુધી વાતાવરણમાં બદલાવ થઈ શકે છે. એક તરફ અમદાવાદમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વાતાવરણ પલટો થવાની શક્યતા છે.
સોમવારથી રાજ્યમાં વાતાવરણ પલ્ટો થશે
હવામાન વિભાગની માહિતી અનુસાર સોમવારથી રાજ્યમાં વાતાવરણ પલટો થશે જેના કારણે 14 થી 17 મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દિવસો દરમિયાન રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
અત્યારે રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે
હવામાન વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાના કારણે આગામી દિવસોમાં જોરથી પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, રાજકોટ સાથે કચ્છના વિસ્તારોમાં આ સર્ક્યુલેનશન એક્ટિવ થતા તેની અસર જોવા મળશે. સાઈક્લોન સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધશે
આ પણ વાંચો: રાજકોટવાસીઓ આનંદો, આજી-૧માં નર્મદાનાં નીરની પધરામણી
હવામાન વિભાગ અનુસાર રાજ્યનાં મુખ્ય શહેરોમાં તાપમાન 34 થી 39 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે દ્વારકામાં સૌથી ઓછુ 30.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જો કે હાલ અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળી શકે તેમ નથી