વિઠ્ઠલ રાદડિયાને વિરોધ પક્ષના નેતા કે પ્રદેશપ્રમુખ બનાવવાના એંધાણ

23 December, 2012 04:16 AM IST  | 

વિઠ્ઠલ રાદડિયાને વિરોધ પક્ષના નેતા કે પ્રદેશપ્રમુખ બનાવવાના એંધાણ



રશ્મિન શાહ


રાજકોટ, તા. ૨૩

ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પછી ગુજરાત કૉન્ગ્રેસના આંતરિક રાજકારણનાં બધાં સમીકરણો બદલાઈ ગયાં છે. એક સમયે ગુજરાત કૉન્ગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને અજુર્ન મોઢવાડિયાની પક્ષમાં બોલબાલા હતી; પણ આ ત્રણે નેતાઓ હારી જતાં હવે હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલાને પૂછીને આગળ વધી રહ્યું છે. મજાની વાત એ છે કે ૨૦૧૨ના વિધાનસભાના ઇલેક્શનમાં શંકરસિંહ વાઘેલાએ કૉન્ગ્રેસ હાઇકમાન્ડ પાસે પોતાની જૂની પાર્ટી રાજપાના કુલ ૩૧ સાથીઓને પરાણે ટિકિટ અપાવી હતી, જેમાંથી ૨૫ સાથીઓ ઇલેક્શનમાં જીતતાં બાપુનો ગુજરાત કૉન્ગ્રેસમાં વટ પડી ગયો છે. આ વટને કારણે જ આજે શંકરસિંહ વાઘેલા જેમ ઇચ્છે એમ અને જેમ કહે એમ કરવા માટે સિનિયર નેતાઓ તૈયાર છે. પોતાની ઇચ્છાપૂર્તિ યોગ્ય રીતે થઈ રહી હોવાથી જ શંકરસિંહ વાઘેલાએ પોતાના રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ના જૂના સાથીદાર વિઠ્ઠલ રાદડિયાને લોકસભામાંથી રાજીનામું આપીને ગુજરાતના પૉલિટિક્સમાં ઍક્ટિવ રહેવા માટે મનાવી લીધા છે.

રાદડિયા રહેશે રાજ્યમાં

ધોરાજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનારા વિઠ્ઠલ રાદડિયા લોકસભાની પોરબંદર બેઠક પરથી સંસદસભ્ય પણ હતા. એવી ધારણા મૂકવામાં આવતી હતી કે ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર ન બનતાં વિઠ્ઠલ રાદડિયા ચોક્કસપણે લોકસભાની બેઠક ચાલુ રાખશે અને ધોરાજીમાંથી રાજીનામું આપશે, પણ ગઈ કાલે આ બાબતની સ્પષ્ટતા કરતાં વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું હતું કે ‘હું લોકસભામાં રાજીનામું આપીને ગુજરાતમાં વિધાનસભ્યપદે કાર્યરત રહેવાનો છું. આ માટે મને જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે એની પણ મારી તૈયારી છે.’

વિઠ્ઠલ રાદડિયાને ગુજરાત કૉન્ગ્રેસનું પ્રમુખપદ કે પછી વિરોધ પક્ષના નેતાનું પદ સોંપવામાં આવે એવી પૂરી શક્યતા છે. આ બન્ને પદના કૉન્ગ્રેસના ઉમેદવાર વિધાનસભાના ઇલેક્શનમાં હારી ગયા હોવાથી કોઈ નારાજગીની શક્યતા કૉન્ગ્રેસનું હાઇકમાન્ડ જોતું નથી. વિરોધ પક્ષના નેતાનું પદ જો શંકરસિંહ સંભાળશે તો પાર્ટી પ્રેસિડન્ટ રાદડિયા બનશે. આમ બન્ને મહત્વનાં પદ પર ૧૯૯૮ની રાજપાના નેતાઓ આવશે એ લગભગ નક્કી થઈ ગયું છે.