ઉમિયા રજતજયંતી મહામહોત્સવ : ઘેરબેઠાં દર્શન અને આમંત્રણ પણ

24 November, 2011 10:28 AM IST  | 

ઉમિયા રજતજયંતી મહામહોત્સવ : ઘેરબેઠાં દર્શન અને આમંત્રણ પણ

 

 

૯થી ૧૩ ફેબ્રુઆરી એમ કુલ પાંચ દિવસ માટે જામનગર જિલ્લાના સિદસર ગામે ઉજવાનારા ઉમિયા રજતજયંતી મહામહોત્સવની જાણકારી આપવા અને મહામહોત્વ શરૂ થાય એ પહેલાં મા ઉમિયાનાં ઘેરબેઠાં દર્શન થાય એવા ભાવથી ઉમિયા રજતજયંતી મહામહોત્સવની સમિતિ દ્વારા સમૃદ્ધિરથ બનાવવામાં આવ્યો છે. આ સમૃદ્ધિરથ ગુજરાતના ૧૭ જિલ્લા અને આ જિલ્લાના ૧૧૦ તાલુકાનાં ૭૦૦૦ ગામડાંઓમાં ફરશે અને ભાવિકોને ઘેરબેઠાં માતાજીનાં દર્શન કરાવીને દરેકને વ્યક્તિગત આમંત્રણ આપશે. મહામહોત્સવની રથયાત્રા સમિતિના પ્રમુખ ભૂપત ગામી કહ્યું હતું કે ‘કોઈ એક ધાર્મિક મહોત્સવની આવડી લાંબી રથયાત્રા નીકળી હોય એવું આ પહેલી વાર બનશે. માતાજી પોતે આમંત્રણ આપવા ઘરઆંગણા સુધી આવે એનાથી રૂડું બીજું કંઈ ન હોય એવું ધારીને અમે આ રથયાત્રાનું આયોજન કર્યું છે.’

સમૃદ્ધિયાત્રા દરમ્યાન દરરોજ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા ઉપરાંત યાત્રામાં જે કોઈ મહાનુભાવો સાથે હશે એ કડવા પાટીદારોને વ્યસન છોડાવવા માટે સમજાવવાથી માંડીને કન્યાકેળવણી જેવા વિષયો પર સમજાવવાનું કામ પણ કરશે. ઉમિયા રજતજયંતી મહામહોત્સવ સમિતિનું માનવું છે કે મહામહોત્સવ શરૂ થશે એ પહેલાં ઓછામાં ઓછામાં ૧૦,૦૦,૦૦૦થી વધુ કડવા પાટીદારોને પાન, માવો, ગુટકા, સિગારેટ કે બીડીનું વ્યસન છોડાવામાં આ સમૃદ્ધિયાત્રા મહત્વનો ભાગ ભજવશે. નેવું દિવસની આ સમૃદ્ધિરથયાત્રા ગઈ કાલે રાજકોટથી શરૂ થઈ અને હવે જૂનાગઢ જિલ્લામાં દાખલ થઈ છે.