સંજીવ ભટ્ટ શરતોને આધીન જામીન પર મુક્ત

18 October, 2011 06:08 PM IST  | 

સંજીવ ભટ્ટ શરતોને આધીન જામીન પર મુક્ત



અમદાવાદ: ખોટા પુરાવા-ઍફિડેવિટના કેસમાં ધરપકડ કરવામાં આવેલા ગુજરાતના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર સંજીવ ભટ્ટે અમદાવાદ ગ્રામ્ય ર્કોટમાં જામીન માટે કરેલી અરજી વિશેનો ચુકાદો જાહેર કરતાં ઍડિશનલ સેશન્સ જજ વી. કે. વ્યાસે તેમના ચુકાદામાં નોંધ્યું છે કે પ્રથમદર્શી રીતે ક્યાંય એવું નથી જણાતું કે આ કામના આરોપીએ ફરિયાદીને ફરજિયાત તેમના ઘરમાં બેસાડી રાખ્યા હોય અને તેમને ક્યારેય એકલા નહીં મૂકી સતત અટકાયતમાં રાખ્યા હોય.

સંજીવ ભટ્ટે અમદાવાદ ગ્રામ્ય ર્કોટમાં જામીન માટે કરેલી અરજી બાબતનો ચુકાદો જાહેર કરતાં  ઍડિશનલ સેશન્સ જજ વી. કે. વ્યાસે સંજીવ ભટ્ટની જામીનઅરજી મંજૂર કરીને શરતોને આધીન જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો હતો. ચુકાદો જાહેર કરતાં ર્કોટે અવો પણ આદેશ કર્યો છે કે અરજદાર-આરોપી ફરિયાદીને કે એક પણ સાહેદનો વ્યક્તિગત, અન્ય કોઈ વ્યક્તિ મારફત કે ટેલિફોનિક સુધ્ધાં સંપર્ક કરવો નહીં કે તેમને ધાકધમકી આપવી નહીં કે ફેરવવા કોશિશ કરવી નહી. સંજીવ ભટ્ટને ૧૦,૦૦૦ રૂપિયાના જામીન તથા એટલી જ રકમના હાથમુચરકા આપતાં શરતોને આધીન જામીનમુક્ત કરવાનો હુકમ ર્કોટે કર્યો હતો.

ઍડિશનલ સેશન્સ જજ વી. કે. વ્યાસે તેમના ચુકાદામાં નોંધ્યું હતું કે બન્ને પક્ષે હકીકતો આધારિત રજૂ થયેલી દલીલો અને ર્કોટ સમક્ષ રજૂ થયેલી તમામ સામગ્રીને ધ્યાનમાં લેતાં સૌપ્રથમ તો એ નોંધવું જરૂરી માનું છું કે સ્વીકૃત રીતે ફરિયાદીએ ૨૦૧૧ની ૧૬ જૂને ૧૫.૫૭ વાગ્યાથી ૧૭ જૂનના પરોઢિયા સુધીના સમય દરમ્યાન બનેલા કહેવાતા આ બનાવ સંબંધે ૨૨ જૂનની મોડી રાત્રે ૨૩.૩૦ વાગ્યે અત્યારની ફરિયાદ આપેલી છે.

આમ બનાવ બન્યા બાદ ફરિયાદ આપવામાં આશરે પાંચથી છ દિવસનો વિલંબ થયો છે. આ વિશે ફરિયાદી દ્વારા માત્ર એવું કારણ આપવામાં આવેલું કે તે ગભરાઈ ગયેલો હોવાથી તેણે તરત જ ફરિયાદ નહોતી આપી.

ર્કોટે ચુકાદામાં એમ જણાવ્યું છે કે એ નોંધપાત્ર છે કે સમગ્ર સમય દરમ્યાન એએસઆઇ કક્ષાના આ અધિકારીનો ત્યાંથી જતા રહેવાનો કોઈ ઇરાદો હોય એવું તેમની સમગ્ર વર્તણૂક જોતાં પ્રથમદર્શી રીતે નથી જણાતું. આ તમામ સમય દરમ્યાન તેમણે ધાર્યું હોત તો કોઈ પણ સમયે તેઓ જતા પણ રહી શક્યા હોત એવા તમામ સંજોગો હતા. આરોપીએ કોઈ પણ પ્રકારે તેમને બળજબરીથી જવા ન દીધા હોય અને એ રીતે તેમની આડકતરી અટકાયત કરી હોય એવું પણ પ્રથમદર્શી રીતે કહી શકાય એમ નથી.

ર્કોટે નોંધ્યું છે કે અરજદાર અમદાવાદના સ્થાનિક રહીશ છે. આ સંજોગોમાં તેમની નાસી જવાની શક્યતા નહીંવત્ છે. ફરિયાદી અને તેમના મિત્ર શ્રેણિક શાહ કે જેમના પુરાવા પર ફરિયાદ પક્ષનો કેસ મહત્વની રીતે આધારિત છે તેમના ક્રિમિનલ પ્રોસીજર કોડ કલમ ૧૬૪ મુજબ નિવેદન લેવામાં આવેલાં છે અને તેમના નિવેદનની વિડિયોગ્રાફી સુધ્ધાં કરવામાં આવી છે. આ સંજોગોમાં તેમના પુરાવા સાથે પણ ચેડાં થવાની શક્યતા નહીંવત્ છે. ફરિયાદી, આરોપી, ઍડ્વોકેટ કનારા, અજુર્ન મોઢવાડિયા વગેરે તમામના ફોન-કૉલની ડિટેઇલની તપાસ કરનાર અધિકારીએ મેળવેલી છે અને એમાં આરોપી દ્વારા કોઈ ચેડાં થઈ શકે એમ નથી.

સંજીવ ભટ્ટ સામે કયો ગુનો હતો?

અરજદાર સંજીવ ભટ્ટ સામેના ગુનાની સંક્ષિપ્ત હકીકત એવી છે કે સંજીવ ભટ્ટે ૧૬ જૂન ૨૦૧૧ના રોજ મોડી રાતથી ૧૭ જૂને વહેલી પરોઢના સમયગાળામાં અમદાવાદમાં ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી સુશીલનગર સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી સોલા હાઈ ર્કોટ સામે આવેલા સત્યમેવ કૉમ્પ્લેક્સમાં ફરિયાદી કરણસિંહ પંથ કે જેઓ હાલમાં પોલીસ-કમિશનરેટની હકૂમત હેઠળ ફરજમાં હોવા છતાં અને અરજદાર-આરોપી (સંજીવ ભટ્ટ)ના સાંનિધ્યમાં ફરજમાં ન હોવા છતાં તેમને કોઈ પણ જાતની વિચારવાની કે સમજવાની તક આપ્યા સિવાય ફરિયાદીને તેમના રહેઠાણે બોલાવી, ડરાવી, ધમકાવી, પરાણે તેમની સાથે આવવા ફરજ પાડી, ડિટેન કરી, છળકપટથી ઍડ્વોકેટ કનારાની ઑફિસે રૂબરૂ સાથે લઈ જઈ, દબાણપૂર્વક તાત્કાલિક ઍફિડેવિટો તૈયાર કરાવી, એ વાંચવાની તક નહીં આપી, ઍફિડેવિટોમાં લખેલી હકીકતોની જાણકારીથી વંચિત રાખી મોડી રાત્રે ઍફિડેવિટો તૈયાર કરી ગુનો કર્યો છે.