28 May, 2019 07:24 PM IST | ગાંધીનગર
રાહુલ ગાંધીને રાજીનામું ન આપવા ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષની અપીલ
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે. પાર્ટીના ટોચના નેતાઓ રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે વચ્ચે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ તેમને રાજીનામું ન આપવાની અપીલ કરી છે.
અમિત ચાવડાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પાછું લેવાની માંગ કરું છું. આપણે આ ચૂંટણી હારી ગયા છીએ પણ સતામાં રહેલા લોકો અને તેમની ગરીબ વિરોધી, ખેડૂત વિરોધી, યુવા વિરોધી અને મહિલા વિરોધ રાજનીતિ સામે લડાઈ ચાલુ રાખવા માટે અમને તમારા સાથની જરૂર છે.'
વધુ એક ટ્વીટ કરતા ચાવડાએ કહ્યું છે કે, 'સતામાં રહેલા લોકો સામેની લડાઈ, જેઓ નફરત ફેલાવી રહ્યા છે અને સમાજમાં ભાગલા પાડી રહ્યા છે, આ લડાઈ સ્વતંત્રતાની લડાઈથી ઓછી નથી. આ લડાઈમાં અમને સતત તમારા સાથની જરૂર છે.'
શું છે મામલો?
લોકસભાના પરિણામો બાદ કોંગ્રેસમાં કદાચ બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી(rahul gandhi) કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા માટે અડગ છે અને તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(priyanka gandhi vadra), પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલા(Randeep Singh Surjewala) સાથે સચિન પાયલટ, અશોક ગેહલોત રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા. જેના કારણે ફરી અટકળોનું બજાર ગરમ થયું છે.
આ પણ વાંચોઃ રાજીનામું આપવાની જીદ પર રાહુલ ગાંધી, મનાવવાના પ્રયાસો ચાલુ
રાહુલ ઈરાદો બદલવા નથી તૈયાર
સૂત્રોના પ્રમાણે પાર્ટીઓના નેતાઓના આગ્રહ છતા પણ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવાના પોતાના ઈરાદાને બદલવા તૈયાર નથી. એવામાં કોંગ્રેસ નેતાઓ માટે વિકટ સ્થિતિનો સામનો કરવો સરળ નથી. પાર્ટી વર્તમાન હાલતમાં રાહુલ ગાંધીનો વિકલ્પ શોધવા તૈયાર નથી. એવામાં રાજ્યના પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષો પર પણ નૈતિક જવાબદારી લેવાનું દબાણ વધતું જાય છે. રાહુલ વધુ લોકોને મળી પણ નથી રહ્યા. પાર્ટીના આલા કમાનમાં શું ચાલી રહ્યું છે, એ વિશે કોઈ કાંઈ પણ બોલવા તૈયાર નથી. કાલે પણ પાર્ટીના નેતાઓ તરફથી વરિષ્ઠ નેતા અહમદ પટેલ અને કેસી વેણુગોપાલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.