પ્રિયા દત્તની કઈ વાત સાંભળી બાપુ ખડખડાટ હસી પડ્યા?

12 April, 2017 04:40 AM IST  | 

પ્રિયા દત્તની કઈ વાત સાંભળી બાપુ ખડખડાટ હસી પડ્યા?


રશ્મિન શાહ

છેલ્લા ત્રણ દિવસથી મહુવામાં ચાલી રહેલા અસ્મિતા પર્વના ગઈ કાલના અંતિમ દિવસે અવૉર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં અભિનયના ક્ષેત્રમાં સરિતા જોષી અને સાયરાબાનુને અવૉર્ડ આપવામાં આવ્યા હતા. સરિતાબહેન અવૉર્ડ માટે મહુવા આવ્યાં હતાં પણ દિલીપકુમારને એકલા મૂકીને આવવાનું સાયરાબાનુને યોગ્ય નહીં લાગતાં તેમણે પોતાના પ્રતિનિધિને મોકલ્યા હતા. સાયરાબાનુએ પોતાનો સંદેશ વિડિયો-રેકૉર્ડ કરીને મોકલ્યો હતો, જે અસ્મિતા પર્વમાં દર્શાવવામાં આવ્યો હતો. સરિતા જોષીને અવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે મોરારીબાપુએ પોતાના નાનપણના નાટકના શોખને યાદ કરીને કહ્યું હતું કે ‘નાનો હતો ત્યારે નાટક કરવાનું મન થતું. બેત્રણ નાટકમાં કામ પણ કર્યું અને ડબલા-ડૂબલી અને થાળી વગાડીને સંગીત પણ આપ્યું છે. આજે પણ જ્યારે વ્યાસપીઠ પરથી વાત કરતો હોઉં કે કોઈ પ્રસંગ કહેતો હોઉં ત્યારે નાટકના જે અખતરા કર્યા હતા એ યાદ આવી જાય ને આંખ સામે તરવરવા માંડે.’


સોમવારે અસ્મિતા પર્વમાં પોતાના ફિલ્મી અનુભવો વર્ણવવા માટે પ્રિયા દત્ત આવી હતી. પ્રિયા દત્તે પોતાનાં મમ્મી-પપ્પા સુનીલ દત્ત અને નર્ગિસની લવ-સ્ટોરી વર્ણવતાં કહ્યું હતું કે ‘પપ્પા મમ્મીને પ્રપોઝ કરતાં બહુ ડરતા હતા. એક દિવસ તેમણે હિંમત કરીને મમ્મીને પ્રપોઝ કરીને આઇ લવ યુ કહી દીધું. મમ્મીએ જરાપણ રીઍક્શન આપ્યું નહીં અને તે ફરીથી આગળ વધીને ચાલવા માંડી અને પપ્પા એ દિવસે રાતે લૉન્ગ ડ્રાઇવ પર ચાલ્યા ગયા. એ લૉન્ગ ડ્રાઇવ દરમ્યાન તેમણે નક્કી કરી લીધું હતું કે જો તેમને પૉઝિટિવ જવાબ નહીં મળે તો તે કાયમ માટે મુંબઈ છોડી દેશે.’

પ્રિયા દત્તના મોઢે આ વાત સાંભળીને બાપુ ખડખડાટ હસી પડ્યા હતા.